સરકાર તમારા દ્વારે’ના ઉમદા આશય સાથે કાલોલ તાલુકાના ઘુસરમાં જન કલ્યાણ શિબિર યોજાઈ.

તારીખ ૧૭/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાલોલ તાલુકાના ઘુસર ગામ ખાતે ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આ શિબિરમાં સાંસદ રાજપાલસિંહ જાદવ અને જીલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ નીરજકુમાર પટેલ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ‘સરકાર તમારા દ્વારે’ના ઉમદા આશય સાથે યોજાયેલી આ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે, “છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાનોના કલ્યાણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. આ શિબિરનો હેતુ છેવાડાના વ્યક્તિ સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો છે અને લોકોને કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર જાતે તેમના આંગણે આવી છે. એક જ સ્થળે તમામ યોજનાઓની માહિતી, નોંધણી અને લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે. શિબિરમાં આયુષ્યમાન કાર્ડ, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા, પીએમ કિસાન, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહી યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું અને સ્થળ પર જ નોંધણી કરાવી સીધો લાભ પ્રાપ્ત કર્યો હતો.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ સહિત તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભાજપ સંગઠનના કાર્યકરો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









