કાલોલના વેજલપુર ખરસાલિયા રોડ પર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ₹1.43 લાખના દાગીના અને રોકડની ચોરી.

તારીખ ૨૫/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખરસાલિયા રોડ પર આવેલ એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રૂ. ૧,૪૩,૫૦૦ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા મંજુલાબેન પ્રવીણભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનું મકાન વેજલપુર ખરસાલિયા રોડ પર આવેલું છે. તેઓ પરિવાર સાથે કંજરી ગામે રહેતા હોવાથી વેજલપુર સ્થિત મકાન બંધ રહેતું હતું. તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ રાત્રિના ૯:૦૦ વાગ્યાથી તા. ૨૨/૦૮/૨૦૨૬ના સવારના ૭:૦૦ વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરોએ લોખંડની જાળીના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ચોરોએ મકાનમાં મુકેલી મંજુલાબેન તથા તેમના દિયર પૂજાભાઈ પરમારની તિજોરીના તાળા તોડી અંદર રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મંજુલાબેનની તિજોરીમાંથી: સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની નાકની ચૂની, ચાંદીના છડા, ચાંદીની લક્ષ્મી-ગણેશજીની મૂર્તિઓ, ચાંદીના સિક્કા અને ₹૮૦,૦૦૦ રોકડા મળી કુલ ₹૧,૧૦,૦૦૦ની મત્તા. પૂજાભાઈની તિજોરીમાંથી: ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીના કડા, ચાંદીના વેઢ, સોનાની સેરો, બાળકોની ચાંદીની ઝાંઝરી-લકી અને ₹૨૦,૦૦૦ રોકડા મળી કુલ ₹૩૩,૫૦૦ની મત્તા. બન્ને મળી કુલ રૂ ૧,૪૩,૫૦૦/ ની ચોરી થઈ હોવાની વિગતે ફરિયાદ નોંધાવી છે.ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસે બી.એન.એસ. (BNS) ની કલમ ૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે બનાવ અંગે સીસીટીવી ફૂટેજ માં ચાર ઈસમો તા ૨૨/૦૮/૨૬ ની રાત્રિએ ૨ કલાક ૭ મીનીટ ના સમયે મકાનમાંથી નીકળ્યા હોવાનાતેમજ દીવાલ કૂદતા ફૂટેજ પણ વાઇરલ થયા છે.







