Rajkot: રાજકોટ જૂની કલેકટર કચેરી ખાતે એચઆઈવી/ એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૪/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ એઇડ્સ દિવસના અનુસંધાને જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એઇડ્સ તથા ડીએપીસીયુના સંયુક્ત ઉપક્રમે એચઆઈવી/ એઇડ્સ અવેરનેસ & સેન્સીટાઈજેશન કાર્યક્રમ આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈનના અધ્યક્ષ સ્થાને જૂની કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો.

બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ડો. આરતીબેન ત્રિવેદી એ પ્રેઝન્ટેશનના માધ્યમથી એચઆઇવી અને એઇડ્સ વિશે વિસ્તારથી જાણકારી આપી હતી. આ ઉપરાંત રાજકોટ ખાતે કાર્યરત એ.આર.ટી સેન્ટર તેમજ પીડિયુ સેન્ટરમા ઉપલબ્ધ સેવા, સારવાર અને માર્ગદર્શન વિશે જાણકારી આપી હતી.
ડો.એસ.જે.લક્કડે ટીબી વિશે વિસ્તૃત જાણકારી આપી ભારતને ટીબી મુક્ત કરવા અભિયાનની રૂપરેખા આપી હતી. રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલના કાર્યો, હેતુઓ, ધ્યેય વિશે જગદીશભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈનએ એચઆઈવી, એઇડ્સ, ટીબી વિશે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા તાકીદ કરવાની સાથે આ કામગીરીમાં કાર્યરત ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પટેલે તેમજ કાર્યક્રમની આભાર વિધિ ચેતનાબેન ગોહિલે કરી હતી.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર સહિત અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




