કાલોલ ના વેજલપુર કુમારશાળામાં જન કલ્યાણ શિબિરમાં એક જ છત નીચે સરકારી યોજનાઓના લાભ લેવા ગ્રામજનો ઉમટ્યા.

તારીખ ૧૮/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી કુમારશાળામાં એક ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ જન કલ્યાણ શિબિરમાં પ્રાદેશિક લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મામલતદાર વિકાસ પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર. પી. પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથા ઉપપ્રમુખ સંજય રાઠોડ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત ચેતનાબેન ઠાકોર, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત યુવા મોરચા અને સંગઠનના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકરોએ હાજર રહીને શિબિરને સફળ બનાવી હતી.વિવિધ યોજનાઓના સ્ટોલ દ્વારા સ્થળ પર જ સેવાનો લાભ શિબિર દરમિયાન ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી અને ત્વરિત સહાય મળી રહે તે માટે જુદા જુદા વિભાગો દ્વારા વિશિષ્ટ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.







