વાંસદા તાલુકામાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન: જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 28 સીટ પર ઉમેદવારી નોંધાવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા-ચીખલીમાં વિકાસનો વિશ્વાસ:ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે મતદારોનો વધતો ઝોક જોવા મળી રહ્યો છે.

વાંસદા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આજે કોંગ્રેસ પક્ષે જિલ્લામાં પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન કરતાં જિલ્લા પંચાયતની 7 સીટો અને તાલુકા પંચાયતની 28 સીટો પર ઉમેદવારી ફોર્મ ભરી રાજકીય દાવ પેચ તેજ કર્યા છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ચૂંટણી અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર, ઢોલ-નગારા અને જીતના વિશ્વાસ સાથે યોજાયેલી આ રેલીમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણીઓની ઉપસ્થિતિએ પક્ષની ગંભીરતા અને મજબૂત સંગઠનનો સંકેત આપ્યો હતો.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો ઉકેલવા માટે પ્રતિબદ્ધ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ છેલ્લા ઘણા સમયથી વિકાસલક્ષી કામો, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. જેના પરિણામે લોકોમાં તેમની પ્રત્યે ગાઢ વિશ્વાસ ઉભો થયો છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો પણ સક્રિય રીતે મેદાનમાં ઉતરી લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. ગામે ગામે જઈને લોકોના પ્રશ્નો સાંભળતા અને ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉમેદવારોને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોમાં ખાસ કરીને યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં વિકાસના મુદ્દાઓ પર મતદાન કરવાની જાગૃતિ વધી છે. લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેઓ ખાલી વચનો નહીં પરંતુ વાસ્તવિક કામ કરનાર નેતાઓને પસંદ કરશે. સ્થાનિક સ્તરે જોવા મળતા ઉત્સાહને જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે મતદારો વિકાસ અને વિશ્વાસના આધારે મતદાન કરી પરિવર્તન લાવવા આતુર છે.




