GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “રાજકોટ જિલ્લા માટે ગૌરવની ક્ષણ” દેશના ૭૮૦ જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી “પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ૨૦૨૪” મેળવ્યો

તા.૨૧/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાષ્ટ્રીય સ્તરે “હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી”માં રાજકોટને સર્વશ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ યોજનાઓના અસરકારક અમલમાં રાજકોટ જિલ્લો દેશભરમાં અવ્વલ

દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કલેકટર શ્રી પ્રભવ જોશીને એવોર્ડ એનાયત કરાયો

Rajkot: કેન્દ્ર સરકારની ૧૧ જેટલી ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહેતા “હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી” અંતર્ગત દેશના ૭૮૦ જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી “પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ૨૦૨૪” મેળવ્યો છે. જે અંતર્ગત આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ. ૨૦ લાખનો રોકડ પુરસ્કાર કલેક્ટર શ્રી પ્રભવ જોષીને એનાયત કરવામાં આવ્યો છે.

હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત તંત્ર દ્વારા હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ તથા શહેરી), મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત –પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ સ્વનિધી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ખેડૂતો, પશુપાલન અને માછીમારી માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પીએમ વિશ્વકર્મા, સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ તથા પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાઓ સહિતની કુલ 11 યોજનાઓનાં લાભ લોકો સુધી પહોંચાડવા અંગેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

આ મૂલ્યાંકનમાં જિલ્લાઓની ચકાસણી સુશાસન, ગુણાત્મક સિદ્ધિ અને પરિમાણાત્મક (આંકડાકીય) સિદ્ધિના માપદંડો પર કરવામાં આવી હતી.જેમાં સુશાસનના ઘટકોમાં પારદર્શિતા વધારવી અને ભ્રષ્ટાચાર અટકાવવો, વિવિધ યોજનાઓનું સંકલન, માનવ સંસાધનોની ક્ષમતા નિર્માણ, ફરિયાદ નિવારણ પદ્ધતિ, પ્રતિસાદ વ્યવસ્થા અને જનભાગીદારીની દ્રષ્ટિએ સ્ક્રીનીંગ, પ્રેઝન્ટેશન અને લોક પ્રતિસાદ તેમજ કમિટીના મૂલ્યાંકન બાદ રાજકોટ જિલ્લાએ દેશનાં ટોચના ૫ જિલ્લાઓમાં સ્થાન મેળવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ૩૨ હજારથી વધુ ઘરો પ્રધાનમંત્રી સૂર્યઘરની યોજનાથી જોડાઈ ઉર્જા બાબતમાં આત્મનિર્ભર બન્યા છે. જેમાંથી ૮૧% વપરાશકર્તાઓ ઉત્પાદક તથા ઉપભોક્તા બની ચૂક્યા છે. જ્યારે સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ અંતર્ગત દૈનિક ૮૮૦ થી વધુ લાભાર્થીઓ જિલ્લામાં લાભ મેળવે છે. પોષણ ૨.૦ હેઠળ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા બનાવેલ શીંગની ચિક્કી અને રમકડાં આપવામાં આવ્યા હતા. આંગણવાડીમાં અમૂલ દ્વારા દુધ અને રોટરી ક્લબ દ્વારા પોષણ કિટ અપાઈ હતી તેમજ ૩૯૪ પોષણ વાટિકાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જિલ્લાના ૧૫.૩ લાખથી વધુ લોકો નોંધાયેલા છે જેમાંના ૩.૭૬ લાખ દાવાઓમાં ૧૧૬૫ કરોડના કલેઈમ મંજૂર કરવામાં આવ્યા છે. તો જિલ્લાના ૨.૩ લાખથી વધુ કિસાનોને પી.એમ. કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ૯૨૦૦ થી વધુ મકાનો બગીચો, આંગણવાડીઓ, રૂફટોપ સોલાર, વરસાદી પાણીનું સંચય વગેરે જેવી આધુનિક સુવિધાઓ સાથે બનાવાયા છે. જેમાં ૧૨ હાઉસિંગ પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મળ્યું છે. PMAY- Redevelopment Component હેઠળ પ્રથમ વખત ૪૭ વર્ષ જૂની અરવિંદ મણિયાર હાઉસિંગ સોસાયટીનું પુનઃવિકાસ કાર્ય હાથ ધરાયું છે. Global Housing Technology Challenge હેઠળ “લાઇટહાઉસ” પ્રોજેક્ટમાં ૧,૧૪૪ રહેઠાણો ટનલ ફોર્મવર્ક ટેકનોલોજી વડે ઝડપી સમય, ઓછા ખર્ચ અને ઓછી મહેનતે બનાવવામાં આવી છે.

જિલ્લાની વિશિષ્ટ પહેલ તરીકે, ઉપલેટા અને ગોંડલની ઉપજિલ્લા હોસ્પિટલમાં ૧૦ બેડના 2 વિશિષ્ટ નવજાત શિશુ સંભાળ એકમો (SNCU) સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી ૮૩૫ નવજાત શિશુઓની સારવાર કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!