GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મગફળીના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી પગલાં લેવા સૂચના 

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ખેડૂતોએ મગફળીના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી બાબતોનું ધ્યાન રાખવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જરૂરી જાણકારી પુરી પાડવામાં આવી છે. જે અંતર્ગત મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તથા નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટેપ) લગાવવા જોઈએ. મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું જોઈએ. ખેતરમાં લીલી ઇયળ (હેલિઓથીસ) અને પાન ખાનાર ઈયળના (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાંનો નાશ કરવો. સફેદ ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે ત્યારે રાત્રી દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો.

ચૂસિયા જીવાતો, લીલી ઇયળ તથા પાન ખાનાર ઇયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવી જોઈએ.

લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૧૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ડિંગ દ્વારા ૫ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું.

પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાતા આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત અને ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!