Rajkot: ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં યોજાયું ‘મા–બેટી સંમેલન’ મેયરશ્રી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં “પોષણ પખવાડિયા”નું સમાપન
તા.૨૩/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આંગણવાડી બહેનો ભૂલકાંઓની સારસંભાળ રાખીને માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે : – મેયરશ્રી
Rajkot: રાજકોટ શહેરના મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) કચેરી દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત ‘મા–બેટી સંમેલન’ યોજાયું હતું. પોષણ પખવાડિયાના સમાપન અર્થે કિશોરીઓને પૂર્ણા યોજના વિશે જાગૃત કરવા માટે ‘મા–બેટી સંમેલન’ ગુજરાતમાં સૌ પ્રથમવાર યોજાયું હતું. આ સાથે શાળાએ ન જતી કિશોરીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ પણ યોજાયો હતો.
મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અહીં કિશોરીઓના પગપૂજન અને સગર્ભાઓની ગોદભરાઈ કરીને સરકાર ભારતીય પરંપરાને પ્રોત્સાહન આપી રહી છે, જે ખુશીની વાત છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન માતા અને બાળકોના હિતાર્થે અમલી મૂકેલી વિવિધ યોજનાઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જાળવી રાખી છે. જેનાથી કિશોરીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ સહિત અનેક બહેનોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમજ આંગણવાડી બહેનો ભૂલકાંઓની સારસંભાળ રાખીને માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે. સાથેસાથે અભ્યાસ અધૂરો છોડી દેતી કિશોરીઓના વાલીઓને વિનંતી છે કે દીકરીઓને ખૂબ ભણાવો અને આત્મનિર્ભર બનાવો.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈએ શાબ્દિક ઉદબોધન અને અગ્રણીશ્રી મનીષભાઈ રાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે ચરણ પૂજન, અન્નપ્રાશન અને ગોદભરાઈની વિધિ કરાઈ હતી. ફુગ્ગા ફૂલાવવા, સોયદોરા પરોવવા, ચાંદલા લગાવવા જેવી એક મિનિટ ગેમ રમાડીને વિજેતાઓને ઇનામ અપાયા હતા. કિશોરીઓને કટલેરી કીટ અપાઈ હતી. આંગણવાડીની બહેનોએ બનાવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું હતું. આ તકે માતા અને દીકરીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નિષ્ણાતોએ પોષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ૧૧૭ બહેનોની આરોગ્ય તપાસ કરાઈ હતી.
આ તકે રીજીયોનલ કો-ઓર્ડીનેટરશ્રી વિપુલભાઈ ઠાકર, શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેનશ્રી દિલિપભાઈ લુણાગરિયા, સી.ડી.પી.ઓ.શ્રી જયશ્રીબેન સાકરીયા, અગ્રણીઓ શ્રી કપિલભાઈ, શ્રી ઋષભભાઈ સહીત આંગણવાડી બહેનો, મુખ્ય સેવિકાઓ, તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.