Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યું
તા.૧૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત તેમજ સાફ-સફાઈ અંગે સૂચના આપી
Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ સિંચાઇ યોજના સંલગ્ન રાજકોટના માધાપર પાસે આવેલા આજી-૨ ડેમ તેમજ રંગપર પાસે આવેલા ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ તેનું સર્વેક્ષણ કર્યું હતું. સાઇટ વિઝીટ દરમિયાન મંત્રીશ્રીએ હાલમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી સિંચાઈ યોજના અન્વયે આસપાસના ગામોને મળતા લાભ અંગે વિગતે માહિતી મેળવી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઇએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત, સાઈનેજીસ મુકાવવા તેમજ સાફ-સફાઈ અંગે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને ડેમ સિંચાઇ યોજના સાથે જોડાયેલા છે. આસપાસના ગામોમાં ખેડૂતોને ખેત વપરાશ માટે ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે.
આ તકે સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર શ્રી પ્રેક્ષા ગોસ્વામી, પડધરી મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના કર્મીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પુરી પાડી હતી.