Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

તા.૨૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે.
રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે તા. ૨૪/૦૪/૨૦૨૬ના સાંજે ૦૬ કલાકથી નીચે મુજબના આદેશો કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. તેમજ મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં.
આ હુકમ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.




