Rajkot: શહેરીજનો….! હસ્તકળાની વસ્તુઓની ખરીદી અને અવનવી વાનગીનો સ્વાદ માણવા થઈ જાઓ તૈયાર
તા.૨૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૫ એપ્રિલે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ કરાવશે “સરસ મેળા”નો શુભારંભ
Rajkot: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે “સરસ મેળા-૨૦૨૫”નો શુભારંભ કરવામાં આવશે.
ગુજરાત લાઇવલી પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૨૫ એપ્રિલ થી ૪ મે સુધી યોજાનાર આ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ, ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળી કુલ ૬૧ સ્ટોલ પરથી રાજકોટવાસીઓ નવીન વસ્તુઓની ખરીદી સાથે અવનવી વાનગીઓનો આનંદ પણ માણી શકશે. મેળામાં ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા અને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ સ્વસહાય જુથો ભાગ લેશે. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૨૨ સ્વસહાય જુથોને પણ લાભ મળશે, જે સૌને સરકારશ્રી દ્વારા વિના મૂલ્યે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા આપવામાં આવશે.
આ ઉદઘાટન પ્રસંગે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદ સર્વ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય સર્વ શ્રી ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા વગેરે ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.