વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચીખલી રેંજ વિભાગનાં વાસુર્ણા જંગલ વિસ્તારનાં પી.એફ.ક.ન.157માં મોટી દબાસ ગામના એક વ્યક્તિની જાનવર દ્વારા ફાડી ખાધેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગેની જાણ ચીખલી રેંજ વિભાગ સહિત ડાંગ પોલીસને થતા બન્ને વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા.વાસુર્ણા જંગલ વિસ્તારમાં ક્ષત વિક્ષત હાલતમાં મળી આવેલ લાશ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટીદબાસ ગામનાં જીતેશભાઈ સીતારામ જાદવની હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર તેઓ વાસુર્ણા જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.તે વેળાએ દીપડી બચ્ચા સાથે નીકળી હોય અને દીપડીએ હુમલો કરી મારણ કર્યાનું જાણવા મળી રહ્યું છે.પરંતુ ખરેખર આ ઈસમનું દીપડીએ જ મારણ કર્યું છે કે અન્ય રીતે મોત નીપજ્યું છે જે પી.એમ.બાદ જ માલુમ પડશે.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.વાસુર્ણા જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોમાં દીપડીના હુમલાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.સ્થાનિકોએ વન વિભાગ પાસે જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને દીપડીને પકડવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. દક્ષિણ વન વિભાગના અધિકારીઓએ લોકોને જંગલ વિસ્તારમાં એકલા ન ફરવાની અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.આ દુઃખદ ઘટનાથી મોટી દબાસ ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકના મોતથી પરિવારજનો પર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ અને માનવીઓ વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર ઉજાગર કરે છે.હાલમાં આહવા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.આઈ. એ.એચ.પટેલે લાશને પી.એમ માટે શામગહાન સી.એચ.સી.ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે..