AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં અખાત્રીજના પર્વની અનોખી મહિમા છે આદિવાસી સમાજ દ્વારા અખાત્રીજની અનોખી રીતે ઉજવણી કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનો રીતિ રિવાજ અનોખો જોવા મળે છે.ડાંગી જનજીવન અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનાં પર્વને અનોખી રીતે ઉજવતા હોય છે.ત્યારે અખાત્રીજનાં દિવસે આદિવાસી સમાજ દ્વારા પૂજા અર્ચના કરી આગામી ચોમાસુ સારું રહે અને ઢોર ઢાકર સારા રહે તથા ગ્રામજનોનું આરોગ્ય સારું રહે તેવી પ્રકૃતિનાં દેવી દેવતાઓને પ્રાર્થના કરી હતી.તેમજ પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજ દ્વારા ધન – ધાન્યની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી.વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનાં પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો આ તહેવારને અનોખી રીતે ઉજવતા હોય છે જેમાં ખાસ કરીને કુકણાઓ (કુનબીઓ ) આ પર્વને વધુ માનતા હોય છે.અખાત્રીજ નિમિત્તે ડાંગ જિલ્લામાં ગૌરાઈપૂજન એટલે કે વાંસની ટોપલી લઈ તેમાં નદીમાંથી પાણી ભરી પાંચ પ્રકારના ધાન્યની નિવાણી કરવામાં આવે છે. તેમજ છ સાત દિવસ અગાઉથી ટોપલીમાં પાંચ પ્રકારનું ધાન્ય વાવવામાં આવે છે.આ વાવેતર ડાંગમાં વિવિધ ભાગોમાં અલગ અલગ સમયે કરવામાં આવતું હોય છે.એક ખૂણામાં ચોખ્ખાસાઈ સાથે લીપી ને ગૌરાઈને મૂકવામાં આવે છે અને પછી ગૌરાઈને પાણીને સિંચવાનો અધિકાર માત્ર કુમારીકાઓને જ આપવામાં આવતો હોય છે.ત્યારબાદ માથે ગૌરાઈ મલઈને બહાર કાઢવામાં આવે છે.અને પછી નદીમાં પધરાવતા પહેલા બધી ગૌરાઈને એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે. પછી ગૌરાઈ માથે મૂકી પ્રથમ ગામ દેવતા પાસે લઈ જાય ત્યાં નીચે મૂકી તેની ફરતે નાચે છે.જે બાદ ફરી ગૌરાઈને માથે મૂકી ગીત ગાતા નદીએ લઈ જઈ નદી કાઠે મૂકીને ગૌરાઈને ઊંચકી ગીતો ગાતી પાંચ વખત નદીમાં ડુબાવીને કાંઠે મૂકે છે આમ ગવરાઈ નું વિસર્જન નદીના સ્થળે ભાવપૂર્ણ વાતાવરણમાં થાય છે ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવે છે.તેમજ પૂજન બાદ જમતી વખતે પ્રસાદ તરીકે નદીની માછલી અનિવાર્ય ગણવામાં આવે છે.આ સમયે નદીની માછલી અંધેદેવને અર્પણ કરવાનો રિવાજ આદિવાસી સમાજમાં જોવા મળે છે.આદિવાસી સમાજના લોકો અખાત્રીજને ખેતીનો અખતરો પણ કહે છે.અખાત્રીજના દિવસે સમગ્ર ડાંગ જિલ્લામાં કામકાજ બંધ રહે છે.અને પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજ દ્વારા ખેતીના ઓજારોની પણ પૂજા કરવામાં આવે છે. ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય હોવાથી અખાત્રીજના અવસરે ગામના વડીલો અને પૂજા વિધિ જાણકાર આગેવાનો સાથે મળીને ખેતીના ઓજારોની અને વાવણી કે રોપણી સમયે ઉપયોગી સાધનોની પણ પૂજા કરવામાં આવે છે.તેમજ આગામી ચોમાસુ સારું રહે અને ઢોર ઢાકર સારા રહે તે માટે પણ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. પૂજન અર્ચન કર્યા બાદ જ ખેડૂતો પોતાના ખેતરમાં કામના શ્રી ગણેશ કરતા હોય છે..

Back to top button
error: Content is protected !!