નવસારીના કબીલપોરના હળપતિ પરિવારના બ્રેઈનડેડ કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૭મું અંગદાન તબીબોના પ્રયાસોના પરિણામે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે*
*પિતાજીની છેલ્લી ઇચ્છા વિમાન બેસવાની હતી, આજે એમના અંગો વિમાન મારફતે પ્રત્યારોપણ માટે ગયા અને ત્રણ લોકોને નવુંજીવન મળ્યુઃ સ્વ. કિશોરભાઈના પુત્ર મયુરભાઇ હળપતિ*
નવસારી,તા.૨૦: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૭મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના મોટી ચોવિસી કબીલપોર ખાતે રહેતા હળપતિ પરિવાર દ્વારા તેમના બ્રેઈનડેડ સ્વજન કિશોરભાઇ ગોવિંદભાઇ હળપતિની બે કિડની અને એક લીવરનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ નવસારીના મોટી ચોવિસી કબીલપોરમાં રહેતા ૪૬ વર્ષીય કિશોરભાઇ ગોવિંદભાઇ હળપતિને પેરાલિસીસની અસર હતી. તેમની અચાનક તબિયત બગડવાથી તુરંત નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં તબીબને હાલત ગંભીર જણાતા નવસારી સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે કહ્યું. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તબીબની સલાહથી સાંજે ૮.૪૯ વાગ્યે ૧૦૮ ઇમરજન્સીમાં સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સુરત સિવિલમાં કિશોરભાઇની પેરાલિસીસની સારવાર ચાલતી હતી. સઘન સારવાર બાદ તા.૧૯મીએ સવારે ૧૧.૨૫ વાગે ડો. લક્ષ્મણ ટહેલિયાની, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.પ્રયાગ મકવાણા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
હળપતિ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ કિશોરભાઇના ધર્મપત્ની રેવાબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. સ્વ.કિશોરભાઇને એક દિકરી મોસમી અને બે દિકરા મયુર અને અજય છે. સ્વ. કિશોરભાઈના પુત્ર મયુરે જણાવ્યું હતું કે, મારા પિતાજીની એકવાર વિમાનમાં બેસવાની ઇચ્છા હતી. તે ઇચ્છા તેઓ જીવતેજીવ પૂરી કરી શક્યા ન હતા. આજે તેમના અવસાન બાદ અમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો. પિતાના અંગો વિમાન મારફતે પ્રત્યારોપણ માટે અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા, અને મૃત્યુ બાદ અંગદાનના માધ્યમથી તેમનું અંતિમ સપનું પૂરૂં થયું. પિતાના મૃત્યુનું ખૂબ દુઃખ અને આઘાત છે, પણ જે ઇચ્છા પિતાજીએ વ્યક્ત કરી હતી, તે આજે તેમના અંગો દ્વારા પૂરી થઈ છે. તેમના અંગોથી હવે ત્રણ લોકોને નવું જીવન મળશે. જરૂરિયાતમંદોના શરીરમાં મારા પિતા જીવતા રહેશે એ અમારા માટે સૌથી મોટો સંતોષ છે.અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી અંગદાન કરવા બદલ પરિવારજનોની અન્યોને મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી અને સાંત્વના પાઠવી હતી.બ્રેઈનડેડ કિશોરભાઈની બન્ને કિડની અને એક લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ. નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. આમ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૭મું અંગદાન થયું છે.