
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં જંગલી ભૂંડનો ત્રાસ વધ્યો, ખેડૂતો પરેશાન રાત્રિના સમયે જંગલી ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસી જાય છે – મકાઈના ઉભા પાકને નુકશાન

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડના વધતા ત્રાસને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે બીજી તરફ ખેતરોમાં ઘૂસી જંગલી ભૂંડ ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે.મેઘરજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઊભેલા મકાઈના પાકને જંગલી ભૂંડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ખેડૂતોની ફરિયાદ છે.ખાસ કરીને રાત્રિના સમયે જંગલી ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસી જાય છે અને મહામહેનતે તૈયાર કરેલા પાકને નુકસાન પહોંચાડે છે.
વરસાદની અછત વચ્ચે ખેડૂતો દ્વારા પાકને બચાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ તૈયાર થયેલો પાક જંગલી ભૂંડના ત્રાસથી નષ્ટ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેડૂતોનું કહેવું છે કે, એક તરફ કુદરતી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ જંગલી પ્રાણીઓના ત્રાસથી પાકનું રક્ષણ કરવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ જંગલી ભૂંડના ત્રાસને નિયંત્રિત કરવા તેમજ ખેતરોમાં રહેલા પાકને સુરક્ષા મળી રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.



