NATIONAL

નાગાલેન્ડમાં ભયાનક ભૂસ્ખલન, 8 લોકોના મોત

નાગાલેન્ડના મોન જિલ્લામાંથી રવિવારે ભૂસ્ખલનની એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી હોનારત સામે આવી છે. મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં થયેલા આ ભીષણ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના કરુણ મોત થયા છે. પહાડ ધસી પડવાને કારણે સર્જાયેલી આ આફતમાં પહાડી ઢોળાવ પર બનેલા અનેક મકાનો પળવારમાં વહી ગયા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કાટમાળની નીચે હજુ પણ ઘણા સ્થાનિક લોકો ફસાયેલા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે મોટું બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ દળના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલા આશરે 15 જેટલા ઘરો આ ભૂસ્ખલનની ઝપેટમાં આવતા સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે.

આ કુદરતી આપત્તિને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને બચાવવા માટે આસામ રાઇફલ્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), નગાલેન્ડ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), ભારતીય સેના (Indian Army), જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમો સંયુક્ત રીતે કામે લાગી છે. પહાડી વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી 4 મૃતકોના શવ બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ ટુકડીઓ અત્યંત જોખમી પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે કાટમાળ નીચે દબાયેલા અન્ય જીવિત લોકોને શોધવાનો સતત પ્રયાસ કરી રહી છે. હાલના તબક્કે કાટમાળ નીચે ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી, તેથી કુલ જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. ભૂસ્ખલનને કારણે આ રહેણાંક વિસ્તારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને પહાડો પરથી સતત વહી રહેલા પાણી તેમજ કાદવના કારણે બચાવ કામગીરીમાં ભારે અડચણો આવી રહી છે.

નગાલેન્ડ સહિત સમગ્ર પૂર્વોત્તર (North-East) ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પહાડી વિસ્તારો કમજોર બન્યા છે. પ્રશાસને પહાડી ઢોળાવ અને જોખમી તેમજ અસ્થિર વિસ્તારોની આસપાસ રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સાવધ રહેવા કડક અપીલ કરી છે. હવામાન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વર્તમાન ખરાબ હવામાનને જોતાં આગામી સમયમાં ફરીથી ભૂસ્ખલન થવાની સંભાવના નકારી શકાય તેમ નથી, જે જનજીવન અને સંપત્તિ માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

આ દુઃખદ ઘટના પર નગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહી છે અને અસરગ્રસ્તોને બચાવવા તેમજ રાહત કાર્યો માટે તમામ સંભવિત મદદ પૂરી પાડી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરતા મુખ્યમંત્રી રિયોએ દુર્ઘટનામાં પોતાના વહાલા સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મોન જિલ્લામાં ભારે ભૂસ્ખલનના અત્યંત ચિંતાજનક અને પરેશાન કરનારા અહેવાલો મળ્યા છે. જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેઓ પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પાયાના સ્તરે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. હાલમાં NSDMA, જિલ્લા પ્રશાસન, DDMA, SDRF, પોલીસ, આસામ રાઇફલ્સ અને સ્થાનિક સમુદાય ગ્રાઉન્ડ ઝીરો પર શોધ અને બચાવ કાર્યો માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.’

Back to top button
error: Content is protected !!