
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર તા. ૩૦ : કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ ( માન્ય મંડળ) ની કારોબારી સમિતીની બેઠક સેન્ટ એલિઝાબેથ સ્કૂલ, મોટી નાગલપર તા. અંજાર ખાતે મળી હતી. કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને પ્રમુખ નયનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં તમામ તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પ્રતિનિધિઓ સહિત કારોબારી સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ રાપર તાલુકા પ્રા. શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ સ્વ. રમેશ રાજગોર તથા કચ્છ જિલ્લા સંઘના પૂર્વ મહામંત્રી દિનેશ શાહના પુત્ર સ્વ. દીપ શાહના અવસાન બદલ મૌન પાળવામાં આવ્યું હતું. મહામંત્રી કેરણાભાઈ આહિરે ગત મિનિટસનું વાંચન કર્યું હતું તો ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હિસાબો રજૂ કર્યા હતા. એચ. ટાટ સમિતિના નિલેશ ગોરે એચ. ટાટ આચાર્યોના પ્રશ્નો રજૂ કરી લડતમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં વિવિધ તાલુકા સંઘના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦૦૫ અગાઉના શિક્ષકોને જી.પી. એફ. માં સમાવવા બાબતનો પત્ર કરવા, બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવા, ૩૧ જુલાઈની સ્થિતિએ શિક્ષકોના બદલી કેમ્પ યોજવા, ૨૦૦૫ પછીના શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા, મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, તાલુકા શિક્ષણ કચેરીમાં પૂરતા કારકુન ફાળવવા , બી.એલ. ઓ. ના મહેનતાણામાં વધારો કરવા , સળંગ સર્વિસ વખતે જેમને નોશનલ ઇજાફો મળ્યો છે તેમની મેડિકલ રજાઓ ગણવા, શાળાઓને કંટીજન્સી ગ્રાન્ટ ફાળવવા, અન્ય માધ્યમની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી કરવા, ખૂટતા પાઠ્ય પુસ્તકો તાત્કાલિક આપવા, શિક્ષકોના સી.પી. એફ. ખાતા ખોલાવવા, બાકી મોંઘવારી સત્વરે જાહેર કરવા, એરિયર્સ ગ્રાન્ટ ફાળવવા, સી. ઇ.ટી. જેવી પરીક્ષામાં બાળકોને ફી માંથી મુક્તિ આપવા, નગર પાલિકામાંથી જિલ્લા પંચાયતમાં આવેલા શિક્ષકોને ૧૦૦ % પેન્શન જિલ્લા પંચાયતમાંથી જ આપવા, ગુણોત્સવ ગ્રેડના માપદંડોમાં ફેરફાર કરવા, ૨ કે તેથી વધુ બાળકો હોય તેવા શિક્ષકોને પણ એલ.ટી.સી.નો લાભ આપવા, ભુજ ખાતે શૈક્ષણિક સંશોધન કેન્દ્ર ઉભું કરવા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. આ તકે કચ્છના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાની સતત પાંચમી વખત રાજ્યસંઘના પદનામિત હોદ્દેદાર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના નવનિયુક્ત પ્રમુખ નિર્મળસિંહ જાડેજા અને મહામંત્રી મનજી મહેશ્વરીનું જિલ્લા સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા સંઘના બાકી હોદ્દાઓની ફાળવણી કરવા સાથે રાજ્ય પ્રતિનિધિઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અઘેરા ઉપરાંત વિવિધ તાલુકા, જિલ્લા અને રાજ્યસંઘના હોદ્દેદારો વિલાસબા જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, રામુભા જાડેજા, હિમાંશુ સીજુ, ઘનશ્યામસિંહ જાડેજા, અરજણ ડાંગર, આશાભાઈ રબારી, શામજી વરચંદ, કિશોરસિંહ જાડેજા, હરિભા સોઢા, જટુભા રાઠોડ, શોભનાબેન વ્યાસ, સૂર્યાબેન પ્રજાપતિ, મેહુલ જોષી, સહદેવસિંહ જાડેજા , મહાદેવ કાગ, ઘનશ્યામ પટેલ , લાખાભાઇ દેસાઈ, પંકજ પટેલ , પૃથ્વીરાજસિંહ જાડેજા, જીતુભાઈ પટેલ , વનરાજસિંહ જાડેજા, જાદવ સાહેબ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી બેઠકનું સંચાલન જિલ્લાના મહામંત્રી કેરણાભાઇ આહિરે જ્યારે આભારવિધિ અંજાર યુનિટના મંત્રી મનજી મહેશ્વરીએ કરી હતી. સમગ્ર વ્યવસ્થા એલિઝાબેથ સ્કૂલના સ્ટાફે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અંજાર યુનિટના હોદ્દેદારો જીજ્ઞેશ પટેલ, શામજી ચૈયા, કીર્તિ પટેલ, સી.પી. ગોસ્વામી, વરૂણ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.







