
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુંદરા,તા.9 ઓગસ્ટ : કચ્છના ઇતિહાસમાં ‘જગ’ અક્ષરથી શરૂ થતાં નામો એક અનોખી પરોપકારની પરંપરાને જીવંત રાખે છે. ૧૩મી સદીના દાનવીર જગડુશા, જેમણે જગતની ચિંતા કરીને દુકાળગ્રસ્તોને અનાજ આપ્યું, ત્યાંથી લઈને જગસીભાઈ, જેમણે જગતને ‘જૈન રત્ન’ સ્વર્ગીય તારાચંદભાઈ અને હિંમતવાન જીગર જેવી બે અમૂલ્ય ભેટો આપી, અને હવે જીગરભાઈ, જેઓ પોતાના નામ મુજબ જ હિંમતથી શિક્ષણના ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે – આ નામોનો પ્રાસ એક કાવ્યાત્મક સંયોગ છે જે દર્શાવે છે કે સેવાભાવની સુગંધ કચ્છની ભૂમિ પર પેઢી દર પેઢી જીવંત રહી છે.
આ જ પરંપરાને આગળ ધપાવતાં ‘જૈન કચ્છ રત્ન’ સ્વર્ગીય તારાચંદભાઈ જગસી છેડાના સુપુત્ર જીગરભાઈ છેડાએ શિક્ષણના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી પહેલ કરી છે. મુન્દ્રાના સર્વસેવા સંઘના નેતૃત્વ હેઠળ, તેમણે ૧૫૦ શિક્ષકોની ભરતી કરવાનો ઉમદા નિર્ણય લીધો છે, જે અંતર્ગત દર મહિને ૯,૦૦૦ના પગારથી કુલ ૧૩,૫૦,૦૦૦નો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. આ મોટી નાણાકીય પ્રતિબદ્ધતા સાથે સર્વસેવા સંઘ મુન્દ્રા તાલુકામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ બન્યું છે.
જીગરભાઈની આ પહેલ ફક્ત વર્તમાન સમયની જરૂરિયાત પૂરી નથી કરતી, પરંતુ તે સ્વર્ગીય તારાચંદભાઈ જગસી છેડાના અમૂલ્ય વારસાને પણ આગળ ધપાવે છે. આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં, જ્યારે કચ્છમાં શિક્ષકોની તીવ્ર ઘટ હતી, ત્યારે તારાચંદભાઈએ પોતાની સંસ્થા દ્વારા સ્વૈચ્છિક શિક્ષકોની નિમણૂક કરી હતી. તેમના આ સામાજિક અને સક્રિય પ્રયાસોને કારણે જ તત્કાલીન સરકારને શિક્ષણ ક્ષેત્રની ગંભીરતા સમજવાની ફરજ પડી હતી અને ત્યારબાદ કાયમી શિક્ષકોની ભરતી કરવી પડી હતી.
શિક્ષણના “દુકાળ” સામે સર્વસેવા સંઘનો આ પ્રયાસ એ સાબિતી છે કે સમાજસેવા માટે રાજકીય પક્ષો કે સરકારી તંત્ર પર જ નિર્ભર રહેવું જરૂરી નથી. આ નિસ્વાર્થ ભાવ અને સામાજિક જવાબદારીનો ઉમદા દાખલો પ્રશંસનીય છે. આ સમગ્ર પ્રયાસ માટે શ્રી જીગરભાઈ છેડા અને સર્વસેવા સંઘ અભિનંદનને પાત્ર છે.


