અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના રેલ્લાવાડા પંથકમાં સોયાબીન પાક નિષ્ફળ થવાના આરે :- પાછોતરા વરસાદને લઇ ખેડૂતોને નુકશાન
આ વર્ષે અરવલ્લી જિલ્લામાં 100 ટકા વરસાદ થયો છે. મેઘરજના અંતરિયાળ એવા રેલ્લાવાડા પંથકમાં ખેતરોમાં હજી સુધી પાણી ભરાયેલ છે, જેના કારણે સોયાબીનના પાક પર ગંભીર અસર પડી છે. લગભગ 200 વિઘા જમીનનો પાક પાણીમાં ગરકાવ થતા, છોડ પીળા પડી ગયા છે અને પાક નિષ્ફળ જવાની કગારમાં આવી ગયો છે.
ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેતીલાયક પડતા ખેડૂતો એ સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. રેલ્લાવાડા ગામે ખેડૂતો એ આશરે 200 વિઘા જેટલી જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું. વરસાદ તબક્કાવાર આવતાં પાકની સારી માવજત થઈ રહી હતી. પરંતુ છેલ્લા તબક્કામાં અતિભારે વરસાદ પડતા ખેતરો પાણીથી ભરાયા.પાણી ભરાઈ જવાથી સોયાબીનના છોડમાં સીંગો યોગ્ય રીતે ઉગી શક્યાં નથી અને છોડને પીડિયાનો રોગ લાગતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો ભય છે. ખેડૂતો હવે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની સ્થિતિમાં છે.ખેડૂતો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કુદરતના પ્રકોપથી પીડિત ખેડૂતોને યોગ્ય વળતર સહાય આપવામાં આવે જેથી તેમની આર્થિક મુશ્કેલીઓ હળવી થાય.