વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી*
*પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો.
શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.
વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.
‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે