કાલોલ:-શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી.

તારીખ ૧૦/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ કૃમિ મુક્ત બની તંદુરસ્ત જીવન જીવે તેવા શુભ આશય સાથે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે 10 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગની સૂચના મુજબ ‘અલ્બેન્ડાઝોલ’ની ગોળીઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકોમાં જોવા મળતા પાંડુરોગ (એનીમિયા) અને કુપોષણનું મુખ્ય કારણ પેટમાં રહેલા કૃમિ હોય છે. આ અભિયાન દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વેગ મળશે.કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ના ઇન્ચાર્જ સુપરવાઈઝર હિંમતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે નખ કાપવા, જમતા પહેલા હાથ ધોવા અને પગરખાં પહેરવા જેવી નાની બાબતો કૃમિના સંક્રમણને રોકવામાં કેટલી મહત્વની છે. જે વિદ્યાર્થીઓ આજે ગેરહાજર રહ્યા છે, તેમને આગામી ‘મોપ-અપ ડે’ દરમિયાન આ દવાનો લાભ આપવામાં આવશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.







