
નર્મદા : ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
જુનેદ ખત્રી: રાજપીપલા
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને સુવિધા મળે તે માટે ડોમ, બેરિકેટિંગ, લાઇટનિગ, જેટી, ઘાટની વ્યવસ્થા તેમજ બેસવા અને આરામ કરવાની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આજરોજ ઈન્ચાર્જ જીલ્લા કલેક્ટર આર. વી. વાળા સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રુટનું નિરિક્ષણ કર્યું હતું.
ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ તિલકવાડા, રેંગણઘાટ અને મણિનાગેશ્વર સહિતના મુખ્ય સ્થળોએ પરિક્રમાર્થીઓ માટે વોશરૂમ, બેસવાની અને આરામ કરવાની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને ચાલવામાં તકલીફ ન પડે તે માટે માર્ગ પર રોલર ચલાવી માર્ગ સમતળ કરવાની કામગીરી હાથ ધરવા પણ સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન જરૂરી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી કામગીરી ઝડપી થાય અને જ્યાં જરૂરી હોય ત્યાં ખૂટતી કડી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
પરિક્રમાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં આવે તે માટે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, પ્રાંત અધિકારી પ્રસંજીત કૌર, પ્રાંત અધિકારી જુહી પાંડે, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



