અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો ભવ્ય સમાપન: ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ યાદગાર બન્યો

23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ચૈત્રી નવરાત્રિ નિમિત્તે યોજાયેલ બે દિવસીય ઉત્સવનો ઉમંગભેર સમાપન કલાકારોની રજૂઆતથી માઈભક્તો મંત્રમુગ્ધ.અંબાજી ઉત્સવમાં સંસ્કૃતિ અને ભક્તિનો જીવંત મહોત્સવ.લોકગાયકોની સુરીલી રજૂઆતથી ગૂંજી ઉઠ્યો ચાચર ચોક યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’નો આજે ભવ્ય અને ભાવસભર વાતાવરણ વચ્ચે સમાપન થયો હતો. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે યોજાયેલા આ ઉત્સવે ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ સર્જી યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ પૂરું પાડ્યો હતો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો, યાત્રાળુઓ અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર પરિસરમાં ભક્તિમય અને સાંસ્કૃતિક ઊર્જાનો અનોખો માહોલ છવાયો હતો.
ઉત્સવના અંતિમ દિવસે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી.ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે અંબાજી ખાતે ‘અંબાજી ઉત્સવ 2025-26’ અંતર્ગત ચાચર ચોકમાં યોજાયેલ સંગીત શિરોમણી કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ઉત્સવ અને ઉમંગ ગ્રુપના લોકનૃત્ય-ગરબા, આલાપ ગ્રુપના લોકડાયરાં તેમજ શ્રી દિપક જોષી અને શ્રી પ્રકાશ રાવ (બારોટ)ના સુરીલા લોકગીતોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં શ્રીમતી અભિતાબેન પટેલની રજૂઆત સાથે કાર્યક્રમને સુંદર પૂર્ણવિરામ મળ્યો હતો, જેમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો. લોકગાયકો, ભજન મંડળો અને કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોકસંગીત અને નૃત્યની રજૂઆતથી દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. પરંપરાગત રાસ-ગરબા અને લોકકલાના રંગે ચાચર ચોક નવરાત્રિના ઉમંગથી ઝળહળી ઉઠ્યો હતો.
બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’ ભક્તિ, લોકસંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિનો અનોખો મેળાપ બની યાત્રાળુઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.










