નિરોણાની એસ.એસ.પી.એ.હાઈસ્કૂલનો HSC માં સતત ત્રીજા વર્ષે 100% પરિણામનો ગૌરવશાળી રેકોર્ડ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૪ મે : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સતત ત્રીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિથી સમગ્ર ગામ તેમજ શાળા પરિવારમા આનંદ અને ગર્વનો માહોલ છવાયો છે.વર્ષ 2026માં જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ મુજબ રાજ્યનું કુલ પરિણામ 92.71% રહ્યું છે, જ્યારે કચ્છ જિલ્લાનું પરિણામ 96.21% અને નખત્રાણા કેન્દ્રનું 97.32% નોંધાયું છે. આ બધામાં નિરોણાની એસ.એસ.પી.એ. હાઈસ્કૂલનું પરિણામ સતત ત્રીજા વર્ષે 100% રહેવું વિશેષ નોંધપાત્ર રહ્યું છે.વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રથમ ત્રણ ક્રમે A2 ગ્રેડ સાથે સોરા ખતુબાઈ હસણ, આહિર કોમલ શામજીભાઈ અને ગરવા કંચન હરેશકુમારે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે.આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, ગામના સરપંચશ્રી, અગ્રણીઓ તથા વાલીગણે વિદ્યાર્થીઓને તેમજ શાળાના માર્ગદર્શક સુકાની આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબ અને સમગ્ર શિક્ષકવૃંદને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.શાળાના આ સતત ઉત્તમ પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.




