નિરોણાની એસ.એસ.પી.એ.હાઈસ્કૂલનું SSCમાં સતત ત્રીજા વર્ષે 100% ગૌરવશાળી પરિણામ.
ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણનું અનોખું ઉદાહરણ – વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ દેખાવ, ગામમાં આનંદનો માહોલ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૬ મે : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાએ ધોરણ 10 (SSC)માં સતત ત્રીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર પાવરપટ્ટીનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિથી ગામ તથા શાળા પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ છવાયો છે.વર્ષ 2026માં જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામ મુજબ રાજ્યનું કુલ પરિણામ 83.86% રહ્યું છે, જ્યારે કચ્છ જિલ્લાનું પરિણામ 84.64% અને ઢોરી કેન્દ્રનું 85.65% નોંધાયું છે. આ પરિસ્થિતિમાં નિરોણાની એસ.એસ.પી.એ. હાઈસ્કૂલનું સતત ત્રીજા વર્ષે 100% પરિણામ વિશેષ નોંધપાત્ર બન્યું છે.વિદ્યાર્થીઓમાં હેતલ રવજી આહિર અને શ્રેયા મહેન્દ્રભાઈ ભાનુશાલીએ A2 ગ્રેડ સાથે પ્રથમ બે ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ ઋત્વી રાજેશભાઈ ભાનુશાલી અને ઇકરા ઉંમરભાઈ સુમરાએ B1 ગ્રેડ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે.આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, ગામના સરપંચશ્રી, અગ્રણીઓ તથા વાલીગણે વિદ્યાર્થીઓ તેમજ શાળાના માર્ગદર્શક આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી અને સમગ્ર શિક્ષકવૃંદને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.શાળાના SSC અને HSC બંનેમાં સતત ત્રીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત થવાથી ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત થયું છે. ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



