દાહોદ તાલુકાના ચોસાલા ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ કેમ્પ યોજાયો

તા.૦૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ચોસાલા ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ કેમ્પ યોજાયો
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખર્ચ ઘટાડવા અને જમીનની ઉપજક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના ચોસાલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કરી રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરવાનો હતો.આ અવસરે દાહોદના બ્લોક ટેક્નોલોજી મેનેજર શ્રી મયંક સુથાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉર્વરાશક્તિ જળવાઈ રહે છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને સ્વસ્થ તથા ગુણવત્તાસભર પાક પ્રાપ્ત થાય છે. સાથે જ પર્યાવરણનું સંરક્ષણ કરવામાં પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ સાબિત થાય છે.તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન તેમજ દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી થતી હાનિ અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક રીતે કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દર્શાવી આગામી સમયમાં વધુ પ્રમાણમાં આ પદ્ધતિ અપનાવવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી હતી.આ તાલીમ કેમ્પ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.





