
પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાનને 10 વર્ષ પૂર્ણ : વિજાપુર તાલુકામાં 218 સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સગર્ભા માતાઓ અને ગર્ભસ્થ શિશુના આરોગ્યની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન (PMSMA)ને 10 વર્ષ પૂર્ણ થતાં વિજાપુર તાલુકામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા માતાઓના આરોગ્ય ની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળી, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. વિજય પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકાની 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (CHC) અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે કુલ 218 સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ મહિનામાં બે વખત સગર્ભા માતાઓની નિયમિત તપાસ કરવામાં આવે છે. જેમાં માતાઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની જરૂરી આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવે છે. જોખમી ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓ માટે એમ.ઓ.યુ. કરાયેલા ખાનગી તબીબો પાસે વિના મૂલ્યે સોનોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઓછું હિમોગ્લોબિન ધરાવતી ગર્ભવતી મહિલાઓને આયર્ન સારવાર, ઇન્જેક્શન તથા જરૂરી પોષણ સહાય આપવામાં આવે છે. સાથે જ નમો શ્રી યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)નો લાભ પણ લાભાર્થી બહેનો સુધી પહોંચાડવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો, સ્ટાફ નર્સો, ફિમેલ હેલ્થ વર્કરો અને આશા બહેનોએ સક્રિય ભાગ ભજવી માતા અને બાળકના આરોગ્ય પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.



