કાવેરી સુગર જમીન પર IPL બોર્ડ, સાદડવેલમાં ખેડૂતોનો વિરોધ

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

કાવેરી સુગર મિલ શરૂ થશે અને શેરડીના ખેડૂતોને યોગ્ય બજાર તેમજ પોષણક્ષમ ભાવ મળશે તેવી આશા રાખી બેઠેલા સાદડવેલ અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં હવે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાવેરી સુગર માટે ફાળવાયેલી જમીન પર હવે **ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL)**ના બોર્ડ લાગતા સરકારના અગાઉના વચનો અંગે અનેક સવાલો ઊભા થયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વર્ષોથી પડતર રહેલી જમીન પર કાવેરી સુગર સ્થાપવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે શેરડીના ખેડૂતોમાં નવી આશા જાગી હતી કે હવે તેમને પોતાના પાક માટે નજીકમાં જ બજાર અને યોગ્ય ભાવ મળશે. જોકે હવે તે જ સ્થળે ખાતર ઉત્પાદક કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડનું નામ સામે આવતા ખેડૂતોમાં નિરાશા અને રોષની લાગણી ફેલાઈ છે.
આ મુદ્દે સાદડવેલ ગામના આગેવાનો વૈશાલીબેન પટેલ અને પંકજ પટેલના નેતૃત્વમાં તાતી ફળિયાથી રાનકુવા સર્કલ સુધી જનઆક્રોશ રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ગામમાં આ કંપનીને પ્રવેશ ન આપવા માટે વિરોધ નોંધાવ્યો હતો.
રેલીને સમર્થન આપવા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ, રૂઢિ મહાગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડા સહિત વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં જળ, જંગલ, જમીન અને પર્યાવરણને અસર કરતી કોઈપણ ઔદ્યોગિક પ્રવૃત્તિ અંગે સ્થાનિક લોકોની સંમતિ અને હિતને પ્રાથમિકતા મળવી જોઈએ.
રેલી દરમિયાન ગ્રામજનોએ એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે આ પ્રશ્ન માત્ર સાદડવેલ ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટો માટે પણ આ મુદ્દો મહત્વનો બની શકે છે. તેથી સમગ્ર વિસ્તારના લોકોએ એકજૂથ રહી પોતાના હક્ક અને પર્યાવરણના રક્ષણ માટે અવાજ ઉઠાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
હવે આ સમગ્ર મામલે સરકાર શું નિર્ણય લે છે અને સ્થાનિકોની રજૂઆતને કેટલું મહત્વ આપે છે તેના પર સાદડવેલ સહિત સમગ્ર વિસ્તારના લોકોની નજર મંડાયેલી છે.



