એસ.એસ.પી.એ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ‘કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની’ ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૨૩ જુલાઈ : એસ.એસ.પી.એ હાઈસ્કુલ નિરોણા મધ્યે શાળાના આચાર્યશ્રી ડૉ. વી. એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ‘કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસ’ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મુખ્ય હેતુ કિશોર- કિશોરીઓના સર્વાંગી વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે નખત્રાણા હેલ્થ કાઉન્સેલર કાંતિભાઈ, નિરોણા પી.એચ.સીના હેલ્થ સુપરવાઇઝર દામજીભાઈ તેમજ મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ દામજીભાઈએ તંદુરસ્ત શારીરિક, માનસિક તેમજ સામાજિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ કાંતિભાઈ દ્વારા PMJY કાર્ડ વિશે તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા શ્રી અલ્પાબેન બુચિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.






