
વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે ગાજરઘાસ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાઈ
ખેડૂતોને ગાજરઘાસથી ખેતીપાકને થતા નુકસાન અને સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે અપાયું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. 16થી 22 ઓગસ્ટ દરમિયાન 21મા ‘ગાજરઘાસ જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને ગાજરઘાસની ઓળખ, તેના ઉપદ્રવથી ખેતીપાકને થતા નુકસાન તેમજ તેના અસરકારક નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચોમાસાની ઋતુ દરમિયાન ગાજરઘાસ ઝડપથી ફેલાતું હોવાથી ખેતીપાક સાથે પાણી અને પોષકતત્ત્વો માટે સ્પર્ધા કરે છે. પરિણામે પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. ગાજરઘાસના સંપર્કથી દમ, શ્વાસની તકલીફ તથા ચામડીના રોગો થવાની પણ શક્યતા હોવાનું કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ગાજરઘાસમાં ફૂલ આવે તે પહેલાં તેને મૂળ સાથે ઉખેડી ખેતર તથા આસપાસના વિસ્તારોમાંથી દૂર કરવા સલાહ આપી હતી. સાથે જ તેના બીજનો ફેલાવો અટકાવવા અને ખેતરોનું નિયમિત નિરીક્ષણ કરવા અનુરોધ કરાયો હતો.
ગાજરઘાસના નિયંત્રણ માટે યાંત્રિક, સાંસ્કૃતિક તથા જરૂરીયાત મુજબ રાસાયણિક પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, ગાજરઘાસના યોગ્ય નિકાલ અને તેના ઉપયોગથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતોને સામૂહિક પ્રયાસો દ્વારા ખેતરો તથા ગામોને ગાજરઘાસમુક્ત બનાવવા અપીલ કરવામાં આવી હતી.





