WAKANER:વાંકાનેર: ટી.સી.માં ડીઓ બદલતી વખતે કરંટ લાગતાં યુવકે જીવ ગુમાવ્યો




WAKANER:વાંકાનેર: ટી.સી.માં ડીઓ બદલતી વખતે કરંટ લાગતાં યુવકે જીવ ગુમાવ્યો

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વીજ કામગીરી કરતી વખતે અકસ્માતે વીજ શોક લાગતાં એક ૨૪ વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના રામપરા ગામના વતની રાજેશભાઈ છનાભાઈ દેથળીયા (ઉંમર વર્ષ ૨૪) સરધારકા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં ટી.સી. (ટ્રાન્સફોર્મર) ના જમ્પરમાં ડી.ઓ. (DO) બદલવાનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં અથવા અકસ્માતે વીજ વાયર અડી જતાં તેમને તીવ્ર વીજ શોક લાગ્યો હતો.વીજ શોક એટલો ગંભીર હતો કે રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડીને બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી ધરી છે. યુવાન વયના પુત્રના અચાનક મોતથી રામપરા ગામ અને પરિવારમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.


