TANKARA:ટંકારાના વાછકપર ગામની વાડીમાં ૧૫ વર્ષીય મધ્યપ્રદેશના કિશોરે ઝેરી દવા પીતા મોત: પરિવારમાં શોકનું મોજું




TANKARA:ટંકારાના વાછકપર ગામની વાડીમાં ૧૫ વર્ષીય મધ્યપ્રદેશના કિશોરે ઝેરી દવા પીતા મોત: પરિવારમાં શોકનું મોજું

ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ખેતમજૂરી કરતા પરિવારના ૧૫ વર્ષીય કિશોરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, વાછકપર ગામની સીમમાં આવેલી જયુભા ભીખુભા ગઢવીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉન્ડારી ગામના વતની છગનભાઈ દિનેશભાઈ અજનાર (ઉં.વ. ૧૫) નામના સગીરે પોતાની વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
કિશોરે ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સારવાર દરમિયાન તેની તબિયત વધુ લથડતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ૧૫ વર્ષીય કિશોરના અચાનક આત્યંતિક પગલું ભરી લેવાથી શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.આ ઘટના અંગેની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે તથા હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મૃત્યુ (અ.મોત) અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે ટંકારા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


