ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા ૧૦૦ ટકા મતદાન કરો
સમાજનો અભિન્ન ભાગ કિન્નર સમાજ કહે છે, તા.૭મી મેએ અચૂક વોટ કરો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમાજના અભિન્ન ભાગ તેવો કિન્નર સમાજ તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયો છે. સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જૂજ પણ ૧૦૦ ટકા મતદાન કરવા માટે નિર્ધાર કર્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે સમાજના દરેક તબક્કા સુધી જિલ્લા ચૂંટણી તંત્ર પહોંચી રહ્યું છે. મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં જૂનાગઢનો કિન્નર સમાજ સહભાગી બન્યો હતો.
જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં sveep અંતર્ગત નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે કિન્નર સમાજે સંકલ્પ કર્યો હતો.
કિન્નર સમાજના અગ્રણી ફીજામાસીએ જણાવ્યું કે, તા.૭મી મેએ અમે મતદાન કરવા માટે જવાના છીએ ત્યારે જૂનાગઢવાસીઓ પણ દેશ અને સમાજના હિતમાં તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરે. તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
તેવા જ કિન્નર સમાજના અગ્રણી નીરુમાસીએ પણ યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા માટે અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, ૧૦૦ ટકા મતદાન કરી લોકશાહીનું આ મહાપર્વ ઉજવવું જોઈએ.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ ઘુંચલા અને જીગ્નેશ મહેતાએ મતદાન જાગૃતિના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.