
વિજાપુર નગરપાલિકા સેવા સદનની આકસ્મિક મુલાકાત — 22 વર્ષ જૂની પીવાના પાણીની લાઈન બદલવા માટે રૂ. 2.93 કરોડ મંજુર

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા સેવા સદનમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોનના વિભાગીય અધિકારી બી. એમ. પટેલ (આઈએએસ) તેમજ પ્રાદેશિક કચેરીના ચીફ ઓફિસર મનોજ સોલંકી સહિતના અધિકારીઓએ આજે આકસ્મિક મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન શહેરમાં ચાલતા રોડ-રસ્તાઓના પેચ વર્ક અને રિસર્ફિંગ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરી અંગે નગરપાલિકા મુખ્ય ઈજનેર હિમાનીબેન ચૌધરી, પી.એમ.સી. ટીમ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
મુલાકાત દરમિયાન હાલ શહેરીજનો માટે ચિંતાનો વિષય બનેલી 22 વર્ષ જૂની પીવાના પાણીની મેઈન રાઇઝિંગ લાઈનની પણ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ લાઈન વારંવાર લીકેજના કારણે પાણી સપ્લાઈ પ્રભાવિત થવાનો મુદ્દો સામે આવતા, તેને તાત્કાલિક બદલવાની જરૂરિયાત વ્યક્ત થઈ હતી.મુખ્ય ઈજનેર હિમાનીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, “શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મેઈન લાઈન ખુબ જ જૂની થઈ ગઈ હોવાથી સતત લીકેજ અને સમારકામની પરિસ્થિતિ સર્જાઈ રહી હતી. આ અંગેની જાણ ઊચ્ચ કક્ષાએ કરી હતી.” આ પ્રતિસાદના આધારે નવીન પીવાના પાણીની લાઈન માટે રૂ. 2 કરોડ 93 લાખનો ખર્ચ મંજુર થયો છે.જણાવ્યા મુજબ, શહેરીજનોને ઓછી તકલીફ પડે તે રીતે લાઈન બદલવાની કામગીરી ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. શહેરના વિકાસ કાર્યોમાં ગતિ લાવવા તથા પાયાની સુવિધાઓ સુધારવા માટે પાલિકા દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.




