તા.૨૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૩૪ માંથી ૧૩૧ પ્રશ્ર્નોનું સ્વાગત સપ્તાહ દરમિયાન નિરાકરણ
સ્થળ પર જ નિરાધાર વૃદ્ધાને સહાય હુક્મ આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
લોકપ્રશ્નો અને જાહેર જનતાના પ્રશ્નોનું તાલુકા કક્ષાએથી જ નિરાકરણ કરવા માટે યોજાતા ‘‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ને ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયસરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે, જે અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની કાર્યપ્રણાલિ મુજબ તમામ પ્રશ્નોનો નિકાલ રોજિંદી કચેરી કામગીરી દરમ્યાન જ થઇ જવો જોઇએ, જેથી નાગરિકોને સ્વાગત કાર્યક્રમ સુધી આવવું જ ન પડે, આ માટેનું યોગ્ય આયોજન કરવા તેમણે તમામ વિભાગોને સૂચના આપી હતી.અને સર્વ વિભાગોને હકારાત્મક વલણ સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા જણાવ્યું હતું.
જેતપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પુરવઠા વિભાગ, પેન્શન, વૃદ્ધ સહાય, વીજળી, સફાઇ, રાશન કાર્ડ સહિત ૫૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી જેતપુર ગ્રામ્યમાં ૨૫ અને જેતપુર શહેરમાં ૨૫ મળી કુલ ૫૦ પ્રશ્નોમાંથી ૪૭ જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું જ્યારે દબાણ કે અન્ય સનદ બાબતના કાગવડ, અમરનગર અને બાવા પીપળીયા ગામના નીતિવિષયક પ્રશ્નો ઉકેલ માટે આગળ કાર્યવાહી અર્થે સંબંધિત વિભાગોને મોકલવામાં આવ્યા હતા. જેતપુર તાલુકામાં યોજાયેલ ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમો અંતર્ગત રજૂ થયેલા કુલ ૮૪ પ્રશ્નો પૈકી તમામનો નિકાલ કરાયો હતો .
આજના સ્વાગત કાર્યક્રમમાં વીરપુરના સવિતાબેન મોહનભાઈ દુધરેજીયા એ નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો પ્રશ્ન રજૂ કરતા તેમને સ્થળ પર જ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક વૃદ્ધ સહાયનો હુકમ એનાયત કર્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બ્રિજેશ કાલરીયા જેતપુર મામલતદાર શ્રી ડી.એ. ગીનિયા ,જેતપુર શહેર મામલતદાર શ્રી કિશોર અઘેરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. એલ. વાઘાણી, ચીફ ઓફિસર શ્રી અશ્વિન ગઢવી ,પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રી ગઢવી અને શ્રી સરધારા, માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર શ્રી નીરવ પીપળીયા, હેલ્થ ઓફિસર શ્રી ડો.કુલદીપ સાપરિયા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. નિકિતાબેન પંડ્યા, મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ જેતપુરના કન્વીનર શ્રી વિનોદ નૈયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા નાયબ મામલતદાર શ્રી ભરત ખાનપરા તેમજ શ્રીમતી સોનલબેન મેઘાણી અને મામલતદાર કચેરીના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.