દેશજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સાઉથ કોરિયામાં ઈમરજન્સી માર્શલ લોનું એલાન કર્યું

દક્ષિણ કોરિયામાં રાજકીય પરિસ્થિતિ વણસી છે. રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઈમરજન્સી માર્શલ લો’ જાહેર કર્યો છે એટલે હવે ત્યાં લશ્કરી શાસન આવ્યું છે. નેશનલ ટેલિવિઝન પર દેશજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ યુન સુક-યોલે આ એલાન કર્યું હતું. ઈમરજન્સી માર્શલ લો જાહેર કરતી વખતે તેમણે વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે પોતાના સંબોધનમાં કહ્યું, ‘હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી દળો દ્વારા ઉભા કરવામાં આવેલા જોખમોથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તત્વોને ખતમ કરવા ઈમરજન્સી માર્શલ લો જાહેર કરું છું.’ તેમણે દેશની સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરૂરી ગણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે એવો આરોપ લગાવ્યો કે વિપક્ષે ઉત્તર કોરિયા સાથે દેશવિરોધી કાવતરું કર્યું છે. તેમણે દેશને સામ્યવાદી દળોથી બચાવવા માટે જરૂરી પગલું ગણાવ્યું હતું.
આ આશ્ચર્યજનક પગલું એવા સમયે આવ્યું છે જ્યારે યુનની પીપલ્સ પાવર પાર્ટી અને મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આવતા વર્ષના બજેટ બિલ પર વિવાદ ચાલુ છે. વિપક્ષી ધારાશાસ્ત્રીઓએ ગયા અઠવાડિયે સંસદીય સમિતિ દ્વારા નોંધપાત્ર રીતે ઘટાડાવાળી બજેટ યોજનાને મંજૂરી આપી હતી.
દક્ષિણ કોરિયાની 300 સભ્યોની સંસદમાં બહુમતી ધરાવતા વિપક્ષી સાંસદોએ તાજેતરમાં નાના બજેટ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રમુખ યુન સુક-યોલ દ્વારા મુખ્ય ભંડોળમાં કાપ મૂકવા બદલ તેની ટીકા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘આપણી નેશનલ એસેમ્બલી ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગઈ છે. તે કાયદાકીય સરમુખત્યારશાહીનો અડ્ડો બની ગયો છે, જે ન્યાયિક અને વહીવટી પ્રણાલીઓને લકવાગ્રસ્ત કરવા અને આપણી ઉદાર લોકશાહી પ્રણાલીને નષ્ટ કરવા માંગે છે.



