હાજીપીરના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજતા સંચાલકો/સંસ્થાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરવાનું રહેશે
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-21 એપ્રિલ : તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉર્ષ) યોજાનાર છે. આ મેળા દરમિયાન કચ્છના તથા કચ્છ જિલ્લા બહારથી શ્રદ્રાળુઓ પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં સામખીયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પ રોડની બંને બાજુએ ઊભા કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષા, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતાં હોય છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફીક નિયમન કરવું જરૂરી બને છે. શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજીસ્ટ્રેટે,કચ્છ ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવેલ છે કે, તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી પદયાત્રીઓ માટે જિલ્લા તેમજ જિલ્લા બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડ કેમ્પ રાખવામાં આવે છે તેઓએ જરૂરી વિગતો કેમ્પના સ્થળે રાખીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવાની રહેશે. આ વિગતોમાં સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલીફોન /મોબાઇલ નંબર, કેમ્પના સેવા આપનાર સ્વયં સેવકોના નામ, સરનામા, ટેલીફોન/મોબાઇલ નંબર, કેમ્પમાં કોઇ ચીજ વસ્તુ/ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના છે કે કેમ? જો હા તો તેની સંપૂર્ણ વિગત, પ્રતિબંધિત ખાદ્ય પદાર્થનું વિતરણ કરી શકશે નહીં, કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત, જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઇટ રીફલેક્ટર રાખવાના રહેશે.કેમ્પ આયોજકોએ સફાઇ માટે સ્વીપર વગેરેની જરૂરી વ્યવસ્થા કરવી, યાત્રાળુઓ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે, રસ્તા પર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહીં, લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાગી મેળવાની રહેશે, પ્લાસ્ટીકના થેલીનો ઉપયોગ કરવાનો રહેશે નહીં, કેમ્પના સંચાલકોએ જમીન માલીકની પરવાનગી મેળવી મંડપ વગેરે બાંધવાના રહેશે, કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઇ પણ પ્રકારના અવરોધ ઉભા કરવાના રહેશે નહીં. પસાર થતા માર્ગથી અંદરના ભાગે વાહન વ્યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણ રૂપ ન થાય તે રીતે સેવા કેમ્પ બાંધવાના રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.