(માહિતી બ્યુરો, પાલનપુર)
લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં સ્વીપ ટીમ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દિયોદરના ચીભડા ગામે યુનિક અને નવીન મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો, મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “મહિલા મતદાર જાગૃત થાઓ”, “વધુમાં વધુ મતદાન કરો”, “ના વ્યસનથી ના ફેશનથી ભાગ્ય બદલાશે મતદાનથી”, “તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ” વગેરે સૂત્રોચાર થકી મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
મતદાન જાગૃતિના બીજા એક કાર્યક્રમમાં વોટર અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ડીસા તાલુકામાં મતદારોને બ્લુટુથ સ્પીકર દ્વારા મતદાન જાગૃતિનો ટૂંકો સંદેશ આપી પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા મતદારોને મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.