ભરૂચ – અંકલેશ્વરમાં પૂરગ્રસ્તોની વહારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો – સ્વયંસેવકો
સંસ્થાના સંતો અને સ્વયંસેવકો દ્વારા ગરમ ભોજન, ફૂડપેકેટ, રાશનકીટ અને વસ્ત્રવિતરણની સેવાને હજારો અસરગ્રસ્તોએ હૃદયપૂર્વક બિરદાવી
વિશ્વના કોઈ પણ ખૂણે જયારે કોઈ પણ કુદરતી આપત્તિ આવે ત્યારે સદૈવ તાત્કાલિક સહાય કરતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નર્મદા નદીના પૂરથી અસરગ્રસ્ત થયેલ ગામોમાં તાત્કાલિક ધોરણે રાહતકાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ભરૂચ મંદિરના સંતો અને પુરુષ મહિલા સ્વયંસેવકોએ પ્રથમ દિવસથી જ તડામાર તૈયારીઓનો આરંભ કર્યો હતો. મંદિરના સંતો અને સ્વયંસેવકો દ્વારા છેલ્લા છ દિવસો દરમિયાન ૩૫,૦૦૦ થી વધારે પૌષ્ટિક ફૂડપેકેટ્સ તૈયાર કરી પૂરગ્રસ્તોને પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૫,૦૦૦ થી પણ વધારે અસરગ્રસ્તોને પૂરી, શાક, ખીચડી, દાળ-ભાત વગેરેનું ગરમાગરમ ભોજન જમાડવામાં આવ્યું હતું. ભોજન સાથે પૂરગ્રસ્ત કુટુંબોને પોશાક પણ મળી રહે તે હેતુથી વસ્ત્ર વિતરણનું કાર્ય કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પૂરગ્રસ્ત આ કુટુંબોને ઘણા દિવસો સુધી રાશન મળી રહે તે હેતુથી રાશન કીટ જેમાં ૧૭ થી ૧૮ કિલો અનાજ જેમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, તેલ, ખાંડ, હળદર, મરચું, ધાણાજીરું, રાય, મીઠું, શાકભાજી વગેરેનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આવી લગભગ ૨૫૦૦ કરતા પણ વધુ રાશનકીટ સંસ્થાના સ્વયંસેવકો અને સંતો દ્વારા આ પૂરગ્રસ્ત કુટુંબોને પહોંચાડવામાં આવી હતી. સાથે પૂરગ્રસ્ત અનેક પશુપાલકોના પશુઓને પણ ઘાસચારો મળી રહે તે હેતુથી ટન બંધ સૂકા તથા લીલા ઘાસચારાનું પણ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
રાહતકાર્ય દરમ્યાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ભરૂચના સંતો અને સ્વયંસેવકોએ અપાર જેહમત ઉઠાવીને, પૂરનો કાદવ ખૂંદીને કેડસમા પાણીમાં જઈને કે નાવમાં બેસીને પણ બેટ વિસ્તારના અનેક અસરગ્રસ્ત ગામો તેમજ લોકો સુધી પહોંચી સમાજસેવાનું આ કાર્ય કર્યું હતું. જ્યાં સુધી પૂરની પરિસ્થિતિ રહી ત્યાં સુધી અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું રાહત કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની આ નિસ્વાર્થ સેવાથી રાહત પામેલા હજારો અસરગ્રસ્તોએ હૃદયપૂર્વક બીએપીએસ સંસ્થા પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે.