વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-22 એપ્રિલ : કચ્છમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૦/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો શરૂ કરવામા આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ૧૧ ગંભીર રોગથી રક્ષણ કરવા માટે અગત્યની રસીઓ આપવામાં આવશે. ભારત સરકારશ્રી દ્વારા આગામી તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની મનાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ ચોથા ગુરૂવારે વય આધારિત એનાલીસીસ કર્યા બાદ છૂટી ગયેલ બાળકોનું ખીલખીલાટ વાહન દ્વારા રસીકરણ કરવામાં આવશે તથા તા.૨૬/૦૪/૨૦૨૫ના રોજ ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવશે તેમજ તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ પાંચમાં બુધવારે મમતા દિવસ નિમિતે સગર્ભા માતાઓના રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવશે. કાર્યક્રમના આયોજનની વિગતો નજીકના આશાબહેનો, આંગણવાડી કાર્યકર અથવા એ.એન.એમ.નો સંપર્ક કરી મેળવી શકાશે. વય આધારિત બાળકો તેમજ સગર્ભા માતાઓ રસીકરણનો લાભ લઈ શકે છે તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે.