
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વઘઇ દ્વારા શાળાની જૂની ઇમારતને તોડી નાબૂદ કરવા માટે સરકારનાં માર્ગદર્શન હેઠળ જાહેર હરાજી યોજાઈ હતી.આ હરાજી જિલ્લામાં પ્રથમવાર એટલી વિશાળ પ્રતિસાદ સાથે યોજાઈ હોવાનું જણાયું છે.ઉલ્લેખનીય છે કે, આ હરાજી ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થઈ હતી, જેમાં મકાનની અપસેટ કિંમત માત્ર રૂ. ૩,૪૪,૨૫૦ નક્કી કરવામાં આવી હતી.જેની સામે ટેકેદારોમાં સ્પર્ધા એવી થઈ કે ટોકન નંબર ૨૫ ધરાવતા વાંસદા ના વેપારી વીર બહાદુરસિંહે રૂ. ૧૭,૦૧,૦૦૦ ની સર્વોચ્ચ બોલી લગાવી, જેના આધારે તેઓને શાળાનું જૂનું મકાન તોડી નાબૂદ કરવાની પરવાનગી આપવામાં આવી છે.હરાજી જિલ્લા શિક્ષણ અધિકારી, આહવા (ડાંગ)ના અધ્યક્ષપણે પારદર્શક રીતે યોજાઈ હતી. શાળાના આચાર્ય, સ્ટાફ અને તમામ બોલીદારો ઉપસ્થિત રહ્યા હતા.કુલ ૧૦૮ બોલીદારોની નોંધપાત્ર સંખ્યાએ શાળાની જૂની ઈમારત પ્રત્યેનું આકર્ષણ અને પ્રતિષ્ઠા હરાજી દરમ્યાન સ્પષ્ટ જોવા મળી હતી.
આ હરાજીથી સરકારને આશરે ૧૩.૫ લાખથી વધુનો નફો થયો છે, જે ન માત્ર જાહેર સંપત્તિના યોગ્ય મૂલ્યાંકનનો દાખલો છે, પણ સાથે-સાથે સરકારી નીતિગત પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારીપૂર્ણ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પણ પુરું પાડે છે.આવી હરાજીઓ દ્વારા સરકાર દ્વારા નાબૂદ થતી સંપત્તિમાંથી પણ મહત્ત્વપૂર્ણ આવક ઊભી કરી શકે છે, જે વિકાસના કાર્યમાં ઉપયોગી થાય છે..




