ગુજરાત રાજ્યનાં જાણીતા સાહિત્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા “ડાંગ જિલ્લામાં લૂંટી લેવામાં આવે છે અને કપડાય નથી રહેવા દેતા” એ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.ત્યારે આ મામલે રાજય કક્ષાનાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીનાં વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલ,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.તો બીજી તરફ ડાંગ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આહવા અને વઘઈ ખાતે રાજભા ગઢવીનાં પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યના જાણીતા લોકસાહિત્ય કલાકાર રાજભાઈ ગઢવીનો એક વિડીયો સોશિયલ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં આદિવાસી સમાજનો અપમાન કરવામાં આવેલ હોય અને ભારત દેશનાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતના ખાસ કરીને ડાંગ આહવા ના જંગલોમાં જંગલી, લૂંટારો અને કેટલાયને લીધા અને કપડાં કાઢી લીધા છે જેવા શબ્દોનો લોક ડાયરામાં જાહેર મંચ પર ઉપયોગ કર્યો હતો. જેને લઈને ડાંગ જિલ્લા વાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે આ મામલે રાજય કક્ષાનાં મંત્રી અને ડાંગ જિલ્લાનાં પ્રભારી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતુ કે રાજભા ગઢવીનો મે એક વીડિયો સાંભળ્યો છે.અને જ્યારે ડાયરો ચાલતો હતો ત્યારે ડાંગની ભોળી પ્રજા પર લૂંટી લેવાનો જે આક્ષેપ કર્યો છે.તે તથ્ય વિહીન છે.તમે જોયુ હશે કે જ્યારે સાપુતારા મેઘ મલ્હાર પર્વની ઉજવણી થાય ત્યારે દેશ વિદેશનાં પ્રવાસીઓનું ડાંગની દીકરીઓ દ્વારા ડાંગી નૃત્ય કરી ઉમળકાભેર સ્વાગત કરી સન્માન કરવામાં આવે છે.તે ભુલવુ ન જોઈએ અને આ શબ્દોને હું રાજ્યકક્ષાનાં મંત્રી અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી તરીકે સખત રીતે વખોડી કાઢુ છું.અને આવનાર દિવસોમાં તમારા દ્વારા આવા નિવેદનો આપવામાં આવશે તો મારી ડાંગની પ્રજા તમારા મંડપ અને ડાયરા તોડી નાખતા અચકાશે નહિ.અને જાહેરમાં માફી ન માંગે તો આવનાર દિવસોમાં તમારા ડાયરા પણ ન થવા દઈશુની ચીમકી ઉચ્ચારી છે.જ્યારે આ મામલે વલસાડ ડાંગનાં સંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે,”રાજભા ગઢવીના વાતોને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આહવા ડાંગના લોકોને લઈને રાજભા ગઢવી દ્વારા અપમાનજનક અને ડાંગના લોકોને કલંકિત કરતી ટિપ્પણી કરવામાં આવેલ છે. ડાંગના લોકો સેવાભાવી છે અને તેઓ ગરીબ હોવા છતાં પણ મહેમાન ને આદર સત્કાર કરતા હોય છે. સાપુતારા ખાતે તો દેશ વિદેશથી લોકો પ્રવાસ સાથે આવતા હોય છે જોકે સ્થાનિક આદિવાસીઓ તેમનો આદર સત્કાર કરતા હોય છે અને મહેમાન ગતિ કરતા હોય છે. જેના કારણે પ્રવાસીઓમાં પણ વધારો થવા પામેલ છે અને પ્રવાસન સ્થળ પણ વધારવામાં આવેલ છે. તેવામાં રાજભા ગઢવી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવેલ છે ત્યારે તાકીદે તેમના દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ નોંધાવવામાં આવશે. “તેમજ આ મામલે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે,” રાજભા ગઢવીએ ડાંગના આદિવાસી સમાજ વિશે જે વાત કરી છે તેની અમે નિંદા કરીએ છીએ. અને ડાંગનો આદિવાસી સમાજ ખૂબ જ સ્વાભિમાની છે અહીં પ્રવાસ સાથે હજારો પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહીંની પ્રજા દ્વારા આ પ્રવાસીઓને હંમેશા મહેમાન તરીકેનું માન આપવામાં આવે છે. અને જે પણ પ્રવાસી અહીં આવ્યા છે તે પ્રકૃતિને માણીને તેની સરાહના કરીને જ ગયા છે.તેવામાં આ રાજભા ગઢવીની વાતોની સખત નિંદા કરીએ છીએ.ત્યારે રાજભા ગઢવી દ્વારા ડાંગના આદિવાસી સમાજને સાર્વજનિક જાહેરમાં માફી માંગવામાં આવે.”તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઈન દ્વારા પણ રાજભા ગઢવી ની ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને તેને લઈને તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં રાજભા ગઢવીના વાયરલ વીડિયોના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના આગેવાન અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પટેલ,બબલુ ઉર્ફ તરબેઝ અહેમદ સહીત કૉંગ્રેસનાં આગેવાનોએ વઘઇ અને આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરી લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીનાં પૂતળાનું દહન કર્યુ હતું.અને આહવા ખાતે પણ સામાજિક કાર્યકરો દ્વારા રાજભા ગઢવી ના પૂતળાનું દહન કરી સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જોકે જાહેરમાં આ પ્રકારે પૂતળા દહન કરવામાં આવતા પોલીસ દ્વારા કેટલાક આગેવાનોને ડીટેન કરવામાં આવ્યા હતા.