Dwarka : કલ્યાણપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ ભાટીયા એ.પી.એમ.સી. ખાતે યોજાયો
સનાતન સેવા મંડળ, દ્વારકા ખાતે દ્વારકા તાલુકાનો કાર્યક્રમ યોજાયો
***
ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રીકતા અને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી.
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
રાજ્યના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજણ મળિ રહે તે હેતુસર રાજ્યમાં તા.૨૪ અને ૨૫ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ નું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન તેમજ કૃષિ વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજણ મળી રહે તે હેતુસર તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે. તે પ્રમાણે ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રીકતા અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે, જાણકારી મળી રહે તે ઉદેશ્યને ધ્યાને લઈ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલ્યાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ભાટિયા ખાતે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઈ ચાવડાએ ગાય આધારિત ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગૌરવ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગઢકા ગામના જયશ્રીબેન મોહનભાઈ નાકુમને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ ભોપલકા ગામના હરપાલસિંહ જાડેજાને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ રવિ કૃષિ મહોત્સવમાં શ્રી અન્ન મિલેટ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ,એફ.પી.ઓ. ની કામગીરી, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો તથા ઈનપૂટસનો ઉપયોગ, બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી વગેરે બાબતો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
રવિ કૃષિ મહોત્સવમાં કુલ ૨૧ લાભાર્થીઓને પેમેન્ટ હુકમ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ 30 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને છેલ્લે મહાનુભાવો દ્વારા આ સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુમાત ચાવડા, નથુભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.પી. ગોહિલ, મામલતદાર શ્રી બી. એન. ખાનપરા, તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.