
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૦ એપ્રિલ : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં વર્ષ 2026-2029 માટે નવી કારોબારી સમિતિની વરણી કરવામાં આવી છે. તેમાં ચેરમેન તરીકે ધવલભાઈ આચાર્યની વર્ષ 2026-2029 માટે કરવામાં આવી છે. સાથે જ વાઇસ ચેરમેન તરીકે વિમલભાઈ મહેતા, ટ્રેઝરર તરીકે સંજયભાઈ ઉપાધ્યાય અને સેક્રેટરી તરીકે મીરાબેન સવાલિયાની નિમણૂંક કરવામાં આવી છે.નવી સમિતિએ સંસ્થાના વિકાસ, સભ્યોના હિત અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરવાની ખાતરી વ્યક્ત કરી છે.ગત કાર્યકાળ દરમિયાન સંસ્થાએ બ્લડ બેંક, ડિઝાસ્ટર ટ્રેનિંગ તેમજ ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. ચેરમેન ધવલભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સંચાલિત બ્લડ બેંકમાંથી કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર દર્દીઓને રક્ત આપવામાં આવે છે અને જરૂરિયાત મુજબ હોસ્પિટલો સુધી પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.આ ઉપરાંત, વિવિધ સમાજો અને સંસ્થાઓના સહયોગથી જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પો યોજી રક્તની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. થેલેસેમિયા પીડિત બાળકોને નિઃશુલ્ક રક્ત આપવામાં આવે છે.આગામી સમયમાં પેથોલોજી લેબોરેટરીમાં રાહત દરે સેવાઓ શરૂ કરવાની સંસ્થાની યોજના છે.કારોબારી સમિતિમાં ડો. ભાવેશ આચાર્ય, ગુજરાત સ્ટેટ પ્રતિનિધિ મુકેશભાઈ આચાર્ય, અરુણભાઈ જૈન, પરાગ લીઆ, રામજીભાઈ ઘેડા, હરીશ ગણાત્રા, સચીન ઠક્કર, હીરાલાલ સોની, રાજેન્દ્ર ઠક્કર, ધર્મેન્દ્ર કચ્છી અને દક્ષેશ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.





