BHUJGUJARATKUTCH

નાગરિક કર્તવ્ય નિભાવીને કચ્છની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો અને નાગરિકો ‘સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ’માં સહયોગ આપી જિલ્લા વહીવટીતંત્રની સાથે ખડેપગે રહેશે.

કચ્છની વિવિધ સામાજિક,ધાર્મિક સંસ્થાઓ,સંગઠનોએ સ્વયંભૂ રીતે સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનીને નાગરિક ધર્મ નિભાવવા કચ્છ કલેક્ટરશ્રી સમક્ષ ખાતરી આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવે તો તરત જ બ્લેકઆઉટમાં જોડાઈને તમામ લાઈટ્સ બંધ કરીએ : જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ.

કચ્છ કલેક્ટરશ્રી, સાંસદશ્રી સહિત વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ સંસ્થાઓ અને સંગઠનોના પ્રમુખશ્રીઓ બેઠકમાં રહ્યા હાજર.

ભુજ, તા-10 મે : કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લાની અગ્રણી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ અને જિલ્લાના પ્રમુખ સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સંસ્થાઓના આગેવાનો તેમજ પ્રમુખશ્રીઓને વર્તમાન પરિસ્થિતિ વિશે અવગત કરાવીને જણાવ્યું હતું કે, આ સમય નાગરિક ધર્મ નિભાવવાનો સમય છે. તમામ સંસ્થાઓ પોતાની ચેઈન દ્વારા સંસ્થા સાથે સંકળાયેલા નાગરિકોને સંદેશો આપે કે, જ્યારે પણ તંત્ર દ્વારા બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવે તો તરત જ લોકો તેમાં સહભાગી બને. જિલ્લા કલેક્ટરશ્રીએ લોકોને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં જોડાઈને ઘરની તમામ લાઈટો બંધ રાખવા તેમજ કોઈ ચોક્કસ કારણ વિના બહાર નહીં નીકળવા માટે અનુરોધ કર્યો હતો. કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અનુરોધ અંગે વિવિધ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓએ સ્વયંભૂ જ રીતે બ્લેકઆઉટમાં સહભાગી થઈને જિલ્લા વહીવટીતંત્રને તમામ મદદની ખાતરી આપી હતી.

બેઠકમાં પધારેલા વિવિધ સંસ્થાઓ અને સંગઠનના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ સમક્ષ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિને વહેલીતકે પહોંચી શકાય તે માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવે ત્યારે જ નહીં પણ દરરોજ સાંજથી કોઈપણ લાઈટ ચાલુ નહીં કરીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણદળોને સહયોગ આપવામાં આવશે. અગ્રણીશ્રીઓ અને પ્રમુખશ્રીઓએ તમામ નાગરિકોને બ્લેકઆઉટ અંગે સમજણ આપવા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય સાંજ થાય ત્યારે કોઈપણ લાઈટ ચાલુ જ નહીં કરવામાં આવે એમ જણાવીને સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા દાખવી હતી. આ ઉપરાંત, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને રક્તદાન માટે પ્રેરિત કરવા, જરૂરિયાત મુજબના ફૂડ પેકેટ તૈયાર કરવા અને તમામ ઉપલબ્ધ સંસાધનોની મદદની ખાતરી જિલ્લા કલેક્ટરશ્રી અને સાંસદશ્રી સમક્ષ આપી હતી.

આ બેઠકમાં સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી સહિતના આગેવાનોએ ઉપસ્થિતિ રહીને સેવાભાવી, અગ્રણી સામાજિક, ધાર્મિક સંસ્થાઓને પોતાનો નાગરિક ધર્મ નિભાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ભુજ જથ્થાબંધ બજાર, વિવિધ એપીએમસી સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ, અબજીબાપાની છતેડી હનુમાન મંદિર, એલએમએન લાયન્સ હોસ્પિટલ, કચ્છ સરપંચ એસોસિએશન, સીમા જાગરણ મંચ કચ્છ, જીઆઈડીસી એસોસિએશન, ભુજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, કચ્છ કિસાન સંઘ, સરકારી શિક્ષણ સંઘ, બીએપીએસ મંદિર ભુજ, ચેમ્બર ઓફ ભુજ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, જાયન્ટસ ક્લબ, કચ્છ જિલ્લા માજી સૈનિક એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન, સોલ્ટ એસોસિએશન, ખિદમત એ ખલક, સુન્ની હિતરક્ષક સમિતિ, મુસ્લિમ હિતરક્ષક સમિતિ, સુમરી દાદી સેવા સમિતિ, સરહદ ડેરી, મહેસૂલ કર્મચારી મહામંડળ, પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન, લાયન્સ ક્લબ ભુજ, ભુજ લોહાણા મહાજન સંસ્થા, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, સ્વામિનારાયણ મંદિર ભુજ, કચ્છી વિશા ઓસવાલ ભુજ, રોટરી ક્લબ ભુજ, બીએનઆઈ ગ્રુપ, તેરા તુજકો અર્પણ, બી.ડી.સી. ગ્રુપ, કચ્છ જિલ્લા માછીમારી સંગઠન સહિત કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંલગ્ન ૫૦થી વધુ સંસ્થાઓ, સંગઠનોના અગ્રણીશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિજ સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખશ્રી, પ્રતિનિધિશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!