
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૬ જૂન : વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા ૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ કાર્યક્રમમાં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ, કૃષિ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ ઉત્સાહી વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે પર્યાવરણની જાળવણીના મહત્વ પર વિશેષ ભાર મૂકતા દરેક વિદ્યાર્થીને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આવનારી પેઢી માટે સ્વચ્છ ભવિષ્યનું નિર્માણ કરીએ અને ઉપસ્થિત તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા માટેના વિશેષ સંકલ્પ લેવડાવ્યા હતા, જેમાં પ્લાસ્ટિકનો વપરાશ બને એટલો ઓછો કરવો, પાણીનો બગાડ અટકાવી જળ સંચય કરવો અને આસપાસની સ્વચ્છતા જાળવવી.આ ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશા સાથેના વિવિધ આકર્ષક પોસ્ટર્સ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું અને રોપાયેલા છોડના ઉછેરની જવાબદારી સ્વીકારી કાર્યક્રમને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો.



