:: કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ::
– વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહયો છે, આગળ વધી રહયો છે
–અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છે
–ભારતે “વિશ્વ એક પરિવાર” ની વિચારધારાને ચરિતાર્થ કરી છે
જી-૨૦ ની આરોગ્ય સમિટના કારણે ગુજરાતમાં મેડીકલ ટ્રાવેલ વેલ્યુ, દવાઓ – મેડીકલ ડીવાઈસ ક્ષેત્રે નવીન તકો ઉપલબ્ધ બની છે–આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
*****
આણંદ, શનિવાર :: આણંદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી અને સાંસદશ્રી મિતેષભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ બદલાઇ રહયો છે, આગળ વધી રહયો છે. અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે ૯ વર્ષમાં દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છે. એટલુ જ નહી પરંતુ સામાજિક સમાનતાના ઉત્તમ ઉદાહરણ રૂપ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી દેશના ૭ કરોડથી વધુ લોકો માટે ઉત્તમ કક્ષાની આરોગ્ય સારવાર ઉપલબ્ધ બનાવી છે.
કોરોનાના કપરા સમયમાં વિશ્વના દેશોને ભારતે કરેલી મદદની વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરકાર સેવાના ભાવથી લોકોના આરોગ્ય સુખાકારીનું કાર્ય કરી રહી છે અને તેથી જ કોરોનાના સમયમાં પણ જ્યારે સમગ્ર વિશ્વમાં દવાઓની અછત હતી, ત્યારે આપણે દવાના ભાવ વધાર્યા વગર કોઇ પણ ભેદભાવ વિના દેશના લોકોની જરૂરીયાત પૂર્ણ કરવાની સાથે ૧૫૦ જેટલા દેશોને દવાઓ અને ૧૦૦ થી વધુ દેશોને વેક્સિન પુરી પાડીને “વસુધૈવ કુટુંબકમ્’’ ની આપણી ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ઉમેર્યું હતું કે, સરકારની સાથે આરોગ્ય સાથે જોડાયેલા લોકોએ પણ આરોગ્યને સેવાભાવ સાથે અપનાવ્યુ છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપણે કોરોના કાળમાં જોયું છે. કોરોના મહામારી સમયે લોકડાઉનના સમયમાં પણ ૧૩ લાખથી વધુ ડૉક્ટર્સ, ૩૫ લાખથી વધુ નર્સ અને પેરામેડિકલ સ્ટાફે ખડાપગે રહીને દેશના લોકોની સેવામાં કાર્યરત હતા. આ જ હિન્દુસ્તાનના હેલ્થ મોડેલની વિશેષતા છે.
છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની કટિબધ્ધતા વ્યકત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પબ્લિક હેલ્થ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે. દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉત્તમ આરોગ્ય સારવાર મળી રહે તે માટે ૧.૭૦ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત છે.
છેલ્લા ૯ વર્ષમાં સરકારની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિની વાત કરતાં આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ૯ વર્ષ પહેલાં દેશમાં માત્ર ૩૫૦ એમ.બી.બી.એસ. કોલેજો અને ૫૨,૦૦૦ મેડિકલ સીટો હતી જેની સામે આજે ૭૦૦ એમ.બી.બી.એસ. કોલેજો અને ૧ લાખ ૭ હજાર મેડિકલ સીટો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચી છે. આજે આણંદવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે કે, લોકકલ્યાણની ભાવના સાથે આરોગ્યલક્ષી સેવાઓને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુ સાથે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કરવામા આવ્યું છે. તેમણે આ સેન્ટર ચરોતરના નાગરિકોના આરોગ્યને સાચવવામાં તેમજ જરૂરત સમયે સેવાઓ પ્રદાન કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેમ વધુમાં જણાવ્યું હતું.
કોરોના મહામારીના કપરાં સમયની વાત કરતા મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ ને લઈને ભયનું વાતાવરણ હતું, એવા સમયે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં લેવામાં આવેલા આરોગ્યલક્ષી પગલાંઓ અને તે સમયે કરવામાં આવેલી કોવિડ રસીકરણની ઉત્કૃષ્ટ કામગીરીને સમગ્ર દુનિયાએ બિરદાવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે દુનિયાને “આપણે શું છીએ ? આપણી પાસે શું છે ? અને આપણે શું કરી શકીએ છીએ ? ” એ ત્રણેય બાબતોના દર્શન કરાવ્યા છે.
જી-૨૦ હેઠળ ગુજરાતમાં યોજાયેલી આરોગ્ય સમિટનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં યોજાયેલી જી-૨૦ ની આરોગ્ય સમિટના કારણે રાજયને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ સમિટના કારણે મેડીકલ ટ્રાવેલ વેલ્યુ, દવાઓની સાથે મેડિકલ ડીવાઈસ ક્ષેત્રે નવિન તકો ઉપલબ્ધ બની છે. આ સમિટે દેશ – દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
તેમણે માતા અને બાળ મૃત્યુદર અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરતાં કહયું હતુ કે, માતા-બાળ મૃત્યુદર ઘટાડવા માટે સરકાર કટીબધ્ધ બની કાર્ય કરી રહી છે, ત્યારે પ્રત્યેક સમાજ – ગામોએ પણ આગળ આવી ‘‘મારૂં ગામ, કુપોષણ મૂકત ગામ’’ બને તે માટેના કાર્ય દ્વારા માતા તથા નવજાત શિશુના મૃત્યુને અટકાવવાના કાર્યમાં સહભાગી બનવું પડશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ઓફ પબ્લીક હેલ્થના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે રિબિન કાપીને સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સેન્ટરમાં ઉપલબ્ધ થનાર આરોગ્ય સેવાઓ વિશે તેમજ સેન્ટરની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, અગ્રણીશ્રી રાજેશભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખશ્રી અતુલભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખશ્રી અમૃતાબેન પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ સહિત યુનિવર્સિટીના સ્ટાફગણ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.