MEHSANAVIJAPUR

વિજાપુરના ખત્રીકુવા ચોકમાં 60 વર્ષ જૂનું નગરપાલિકાનું સુપર માર્કેટ જોખમી

અગાઉ અનેક વખત ખાલી કરવાની નોટિસ છતાં મુદ્દત લંબાતી રહી; હવે કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થતાં વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા

વિજાપુરના ખત્રીકુવા ચોકમાં 60 વર્ષ જૂનું નગરપાલિકાનું સુપર માર્કેટ જોખમી
અગાઉ અનેક વખત ખાલી કરવાની નોટિસ છતાં મુદ્દત લંબાતી રહી; હવે કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થતાં વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના વ્યસ્ત ખત્રીકુવા ચોકમાં આવેલું આશરે 60 વર્ષ જૂનું નગરપાલિકાનું સુપર માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. તાજેતરમાં કોમ્પ્લેક્સનો એક ભાગ ધરાશાયી થતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટનાની આશંકા વધુ ગંભીર બની છે.
નગરપાલિકા દ્વારા અગાઉ પણ સુપર માર્કેટની ઈમારત જર્જરિત હોવાનું જણાવી દુકાનદારોને દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ વિવિધ કારણોસર દુકાનો ખાલી કરવાની મુદ્દત વારંવાર લંબાવવામાં આવતી રહી. પરિણામે આજે ઈમારત વધુ જોખમી સ્થિતિમાં પહોંચી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
હાલમાં નગરપાલિકાએ ફરી દુકાનદારોને નોટિસો આપી છે. વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે હવે માત્ર નોટિસ પૂરતી નથી, પરંતુ તાત્કાલિક અસરથી ઈમારત ખાલી કરાવી તેના સ્થાને નવું અને સુરક્ષિત કોમ્પ્લેક્સ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની ગઈ છે.
સ્થાનિકોના મતે જો આ અત્યંત જર્જરિત સુપર માર્કેટને સમયસર ખાલી કરાવી પુનઃનિર્માણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ અને ભારે આર્થિક નુકસાન થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!