
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વિજાપુર એપીએમસી ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અખંડ ભારતના પ્રખર હિમાયતી, જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રવાદી વિચારધારાના અગ્રણી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વિજાપુર એપીએમસી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ડૉ. મુખર્જીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને બલિદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા મંત્રી રાજેશભાઈ પટેલ, વિજાપુર નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ અગન બારોટ, કમલેશ કાકા સહિત ભાજપના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાન માટે જીવન સમર્પિત કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં એક દેશ, એક નિશાન અને એક વિધાનના તેમના સંકલ્પ માટે આપેલું બલિદાન દેશના ઇતિહાસમાં સદા અવિસ્મરણીય રહેશે. તેમના વિચારો અને આદર્શો આજે પણ યુવા પેઢીને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ડૉ. મુખર્જીના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. અંતે તેમના દર્શાવેલા માર્ગે ચાલી રાષ્ટ્રહિત અને સમાજહિતના કાર્યો માટે સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




