
તેરા તુજકો અર્પણ” હેઠળ વિજાપુર પોલીસે 13 ગુમ મોબાઇલ શોધી માલિકોને પરત આપ્યા
રૂ. 2.57 લાખથી વધુ કિંમતના મોબાઇલ પરત મળતા નાગરિકોમાં ખુશી, પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના નાગરિકોની ખોવાયેલી કિંમતી મોબાઈલ તેમને પરત અપાવી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. ૨,૫૭,૯૯૭ની કિંમતના ૧૩ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. મોબાઇલ પરત મળતા લાભાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી, જ્યારે પોલીસની આ કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિભાગીય પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણની સૂચના મુજબ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટેશનની ટેક્નિકલ (સાયબર) ટીમના જૈમિનકુમાર બાબુલાલ અને આઈ.ટી. એક્સપર્ટ ઓમ દીપકભાઈ ઠક્કરે સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓની મદદથી CEIR પોર્ટલ મારફતે ટેક્નિકલ એનાલિસિસ કરી વિવિધ સ્થળોએથી કુલ ૧૩ મોબાઇલ ફોન ટ્રેસ કર્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તમામ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
પોલીસની આ લોકહિતકારી કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. સાથે જ પોલીસની જનસેવા અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ ઉજાગર થઈ છે.
આ સફળ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણે ટેક્નિકલ ટીમ, આઈ.ટી. એક્સપર્ટ તથા કામગીરીમાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની કામગીરીની સરાહના કરી હતી.



